આણંદના મંગળપુરા-ઈરમા રોડ પર શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનમાંથી 2.30 લાખની મતાની ઉઠાંતરી
આણંદ: શહેરના મંગળપુરા-ઈરમા રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ ગઈકાલે એક બંધ મકાનની લોખંડની જાળીના નકુચા તોડી નાંખીને અંદર પ્રવેશ કરી ૨.૩૦ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર શિવશક્તિ સોસાયટીમાં રહેતા વસંતભાઈ ખરાડી ચારેક દિવસ પહેલા મકાનને લોક મારીને પત્ની સાથે પોતાના વતન અરવલ્લી જીલ્લાના કંથારીયા ગામે ગયા હતા. દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની આગળના દરવાજાની લોખંડની જાળીનો નકુચો તોડી નાંખીને બેડરૂમમાં પ્રવેશ કરી તિજોરી તોડી સોનાની ૧૦ જોડ બુટ્ટી, લક્કી, રૂક્ષાસની માળા, ચેઈન, તુલસીઘાટની ચેઈન, ચાંદીના વાસણો, ચાંદીની ગાય, ચાંદીનો કળશ, રોકડા ૪૫ હજાર તેમજ એલસીડીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.