ગુજરાત
News of Wednesday, 2nd October 2019

શાકભાજીની કિંમતોમાં ૪૦ ટકા સુધી થયેલ જંગી વધારો

વરસાદના લીધે શાકભાજીના ભાવમાં ભડકો : દિવાળી સુધી કિંમતો કાબૂમાં આવે તેવી પ્રબળ સંભાવના ઊંચા ભાવ હોવાના લીધે સામાન્ય લોકોના બજેટ બગડ્યા

અમદાવાદ, તા.૨ : ગુજરાતમાં આ વર્ષે સીઝનનો ૧૪૧ ટકા વરસાદ પડતા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદથી પાકને મોટાપાયે નુકસાન થતા શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, રસોઈમાં સૌથી વધુ વપરાતી ડુંગળી અને ટામેટાના ભાવ આસમાને છે. છેલ્લા ૧૦ દિવસના વરસાદથી શાકભાજીના ભાવમાં ૪૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. શાકભાજીના વેપારીઓ મુજબ હજુ દિવાળી સુધી સ્થિતિ આવી જ રહેશે. દિવાળી બાદ શાકભાજીના ભાવ ઓછાં થાય તેવી શક્યતા છે. હાલ જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આની સૌથી વધુ અસર ગરબી અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. અમદાવાદ શહેરના શાક માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીના એક કિલોના ભાવ રૂ. ૬૦થી ૮૦ છે. ડુંગળીના ભાવ વધી જતાં પરિસ્થિતિ એવી બની છે કે, ગ્રાહકો હવે બટાકા પણ ખરીદતા નથી. વરસાદથી બજારમાં નવા શાકભાજી નથી આવી રહ્યા.

            જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ વધતા માર્કેટમાં હવે ગ્રાહકોની ભીડ પણ દેખાતી નથી. હજુ ૧૫થી ૨૦ દિવસ પરિસ્થિતિ આવી જ બની રહેશે. દિવાળી બાદ શાકભાજીના ભાવ ઘટી શકે છે પરંતુ દિવાળી સુધી શાકભાજીના ભાવમાં ઘટાડાના કોઇ એંધાણ વર્તાતા નથી. શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત જાણે કે, કફોડી બની છે. ખાસ કરીને ગૃહિણીઓનું રસોઇનું બજેટ શાકભાજીના ભાવવધારાના કારણે ખોરવાઇ ગયું છે.

ભાવમાં જંગી વધારો...

શાકભાજી

જૂના ભાવ

નવા ભાવ

ભીંડા

૪૦

૬૦

ગવાર

૫૦

૧૦૦

રીંગણા

૪૦

૮૦

વટાણા

૧૬૦

૨૪૦

ફુલાવર

૬૦

૮૦

કોબીજ

૪૦

૬૦

દૂધી

૪૦

૭૦

ડુંગળી

૨૦

૬૦

બટાકા

૧૫

૨૦

ચોળી

૧૦૦

૧૨૦

લીંબુ

૮૦

૧૦૦

મરચા

૪૦

૬૦

ટામેટા

૫૦

૭૦

(8:39 pm IST)