ગુજરાત
News of Sunday, 2nd August 2020

હવે સરકાર સામે ખેડૂતો મોરચો ખોલશે : પાક વીમા પ્રશ્ને સોશ્યલ મીડિયામાં આંદોલનનું રણશિંગુ ફૂંકશે

વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવા માંગણી : કરોડો રૂપિયાના ગોટાળાના ખેડૂત એકતા મંચે કર્યો આક્ષેપ

અમદાવાદ: હવે સરકાર સામે ખેડૂતો મોરચો ખોલશે, પાક વીમાપ્રશ્ને સોશ્યલ મીડિયામાં  આંદોલનનું રણશિંગુ ફૂંકશે પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ થઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેના અમલીકરણમાં ગોટાળા કરીને કરોડો રૂપિયા ચાઉં થઇ ગયા હોવાનો ખેડૂત એકતા મંચે ખુલ્લા આક્ષેપ કર્યો છે

 આ અંગે મંગળવારે સરકાર દ્રારા વીમા કંપનીઓ સામે ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો સોશિયલ મીડીઆ પર આંદોલનનું રણશીંગૂ ફૂંકવામાં આવશે.ત્યાં સુધી કે સુરેન્દ્રનગર તથા જૂનાગઢ જિલ્લાના એક એક ખેડૂતને મળીને તેઓ કઇ રીતે લૂંટાયા તે અંગે સમજાવીને તેમને પણ આ આંદોલનમાં જોડવામાં આવશે.આ ખેડૂતો દ્રારા પોતાના ખેતરોમાં ખેડૂત લૂંટાયો તે પ્રકારના બોર્ડ લટકાવશે. પાંચ વર્ષના રોકાયેલા નાણાં પરત ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેમ ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જાહેરાત કરી છે.

ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું છે કે,“પાક વીમા કૈભાડમાં ન્યાય મેળવવા માટે ખેડૂતો ન્યાય ન મળે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં છે. જૂનાગઢના માણાવદર તથા સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં પાક વીમા કૌંભાડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ શનિવારે ખેડૂત એકતા મંચે કર્યો છે. હવે મંચ દ્રારા ગામડે ગામડે ખેડૂતોની પાક વીમા તાલીમ શિબિરો શરૂ કરાશે.જેમાં ખેડૂતોના હક્કના નાણાં કોણ અને કેટલાં ચાઉં કરી ગયા તે બાબતે સમજાવાશે. બીજી તરફ ખેડૂત એકતા મંચ દ્રારા સરકાર સામે સોશીયલ મીડીયાના માધ્યમથી ઓનલાઇન આંદોલન શરૂ કરવામાં આવશે. ખેતરમાં કામ કરતા જગતના તાતનો ઇતિહાસ પ્રથમવાર પોતાના ખેતરમાં રહી ઓનલાઇન આંદોલન થકી સરકાર સામે બાયોં ચડાવશે.

તેમણે વધુમાં કહ્યું કે,“ખેડૂત એકતા મંચ દ્રારા ઓનલાઇન આંદોલનનું નામ પાક વીમો લૂંટાયો આપવામાં આવ્યું છે. ખેડૂતો પોતાના ખેતરમાં જ અમારો પાક વીમો લૂંટાયો છે તેવા બોર્ડ લટકાવીને સરકારનો વિરોધ કરશે.પાક વીમા કૈંભાડ આચરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન જારી રહેશે. તેના માટે જરૂર પડયે ખેડૂતો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરશે.

2018ના વર્ષમાં પ્રતિ હેકટર 55,112 રૂપિયા મળવાપાત્ર થાય. ટકાવારીની દ્દષ્ટિએ જોઇએ તો 68.89 ટકા આખાય મૂળી તાલુકામાં નિયમ મુજબ પાક વીમો મળવાપાત્ર હતો. પરંતુ સરકાર અને વીમા કંપની દ્રારા માત્ર 11 ટકા પાક વીમો જાહેર કરવામાં આવ્યો હતો. યાને કે પાકવીમામાં થયેલા ભ્રષ્ટ્રાચારની ટકાવારી 57.89 ટકા છે.

રકમની રીતે જોઇએ તો ખેડૂતોને પ્રતિ હેકટર દીઠ 55,112 રૂપિયા ચૂકવવાના હતા. તેની સામે માત્ર 8800 રૂપિયા પાક વીમો ચુકવવામાં આવ્યો હતો.જયારે બાકીના 46312 રૂપિયા સરકાર અને વીમા કંપની ચાઉં કરી ગઇ હતી. તે જ રીતે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાની વાત કરીએ તો ત્યાં 76,397 રૂપિયા મળવાપાત્ર થાય.ટકાવારીમાં જોઇએ તો 89.87 ટકા ચૂકવવાના હતા. તેની સામે માત્ર 14.20 ટકા ચુકવીને બાકીના 75.67 ટકા ભ્રષ્ટ્રાચાર થયો હતો.રકમમાં જોઇએ તો ખેડૂતોને હેકટર દીઠ 76,397 પાક વીમો મળવા પાત્ર હતો. તેના બદલે 12070 પાકવીમો આપવામાં આવ્યો હતો.

એટલે કે પ્રતિ હેકટર દીઠ 64,327 રૂપિયા ખેડૂતોના હક્કના સરકાર અને વીમા કંપની ચાઉં કરી ગઇ છે. આ ખેડૂતો સાથે સીધી છેતરપીંડી છે. મોટા માથાઓની સંડોવણી વગર મોટાપાયે ભ્રષ્ટ્રાચાર થવો શક્ય નથી.

 

(9:09 pm IST)