ગુજરાત
News of Sunday, 2nd August 2020

અમદાવાદન ઓઢવમાં સગીરે મસાલો ખાવા માટે રૂ.10 નહિ આપતા ઘાતકી હુમલો :યુવકને કટારના ત્રણ ઘા ઝીક્યાં

સગીરે કટાર કાઢી યુવકને હોઠ,ગળા અને પેટના ભાગે ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો

અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં માત્ર રૂ.10 જેવી મામુલી રકમ માટે 17 વર્ષના સગીરે હત્યાની કોશિશ જેવો ગંભીર ગુનો આચર્યો હતો. દશામાં વ્રતના જાગરણના દિવસે રાત્રે મિત્રો પાસે બેઠેલા યુવક પાસે જઈ મસાલો ખાવા માટે 10 રૂપિયા માંગ્યા હતા. યુવકે પૈસા ન હોવાનું કહેતા ઉશ્કેરાયેલા સગીરે કટાર કાઢી યુવકને હોઠ,ગળા અને પેટના ભાગે ત્રણ ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી સગીરને પોલીસ નજર હેઠળ રાખ્યો છે.

ઓઢવ વિસ્તારમાં છગન હેમાની ચાલીમાં રહેતો ચિરાગ ગિરીશ પરમાર બુધવારે રાત્રે તેના મિત્રો સાથે બેસી વાતચીત કરતો હતો. તે સમયે વિસ્તારમાં રહેતો અમિત (નામ બદલ્યું છે)ત્યાં આવ્યો હતો.

અમિતએ ચિરાગને જણાવ્યું કે,ઘરે દશા માં બેસાડ્યા છે.આજે જાગરણ હોવાથી તું મને મસાલો ખાવાના પૈસા આપ” પરંતુ ચિરાગે પૈસા ન હોવાનું કહી નાપાડી હતી. આથી ઉશ્કેરાયેલો અમિત ઘરે જઈ કટાર લઈ આવ્યો હતો. અમિતે ચિરાગને કટારના ઉપરાછાપરી ત્રણ ઘા મારી દીધા હતા. જેમાં ચિરાગને હોઠ,ગળા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

બનાવને પગલે ઈજાગ્રસ્ત ચિરાગને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ચિરાગની પત્નીની ફરિયાદને પગલે ઓઢવ પોલીસે અમિત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા અમિતને અટક કરી તેનો કોરોના રિપોર્ટ ના આવે ત્યાં સુધી પોલીસ નજરમાં રાખ્યો છે. રૂ.10ના મસાલા માટે ઘાતકી હુમલો કરનાર અમિતના ગુનાહીત કૃત્ય અંગે પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.

(6:48 pm IST)