ગુજરાત
News of Saturday, 1st August 2020

૪૭ ટકા કેસ માત્ર જુલાઇ મહિનામાં જ નોંધાયા

અનલોક ૨.૦માં ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો : ૨૮૭૯૫ કેસની નોંધણી થઇ

નવી દિલ્હી તા. ૧ : કોરોનાના નવા કેસોમાં જુલાઈ મહિનો પીક પર રહ્યો છે. જૂન મહિનાના અંતથી અત્યાર સુધી નવા કેસ નોંધાવાની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આંકડાઓ મુજબ ૩૦ જૂને કોરોનાના ૬૨૦ કેસ નોંધાયા હતા જે ૩૧ જુલાઈના રોજ લગભગ બમણા થઈને ૧૧૫૩ થયા હતા. રાજયમાં અત્યાર સુધી ૩૦ જુલાઈએ સૌથી વધુ ૧૧૫૯ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધતાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૩ કેસ સામે આવતા હવે કોરોનાનો કુલ આંકડો પણ ૬૧,૪૩૮એ પહોંચ્યો છે. જયારે એક જ દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુ પામનારની સંખ્યા ૨૪૪૧ થઈ ગઈ છે.

છેલ્લા ૧૧ દિવસમાં રાજયમાં કોરોનાના ૧૦૦૦થી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજયમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૬૧,૪૩૮ કેસ નોંધાયા છે. જેમાંથી ૨૮૭૯૫ એટલે કે ૪૬.૮% એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા છે. એક દિવસમાં વધુ ૨૩ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૪૪૧ પર પહોંચ્યો છે.

જુલાઈમાં પણ સુરત અમદાવાદથી આગળ નીકળીને કોવિડ -૧૯ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદના ૫,૬૦૪ સામે સુરતમાં ૮,૨૪૦ કેસ નોંધાયા છે. શુક્રવારના આંકડા મુજબ સુરતમાં ૨૮૪ જયારે અમદાવાદમાં ૧૭૬ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૬,૫૧૭ જયારે મૃત્યુઆંક ૧,૫૯૭ પર પહોંચ્યો છે. શુક્રવારે અમદાવાદમાં નોંધાયેલા ૧૭૬ કેસમાંથી ૧૪૦ શહેરના અને ૩૬ ગ્રામીણ વિસ્તારના છે.

અમદાવાદ અને સુરત ઉપરાંત અન્ય જિલ્લામાં પણ પોઝિટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૧ જુલાઈના રોજ રાજયના ૬૭૫ કેસમાંથી સુરત અને અમદાવાદ સિવાય ૩૧ જિલ્લાઓનો હિસ્સો ૨૫૯ એટલે કે આશરે ૩૮% હતો. જયારે ૩૧ જુલાઈના રોજ રાજયમાં નવા નોંધાયેલા ૧,૧૫૩માંથી ૬૮૮ એટલે કે લગભગ ૬૦% હિસ્સો હતો.

વડોદરા જે કેસોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ અને સુરત પછી ત્રીજા સ્થાને છે. ત્યાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આંકડા મુજબ ૧ જુલાઈના રોજ વડોદરામાં ૫૭ કેસ નોંધાયા હતા, જે ૩૧મી જુલાઈએ વધીને ૯૦ પર પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે વડોદરામાં છેલ્લા ૮ દિવસથી કોરોનાના દરરોજ ૯૦થી વધારે કેસ જોવા નોંધાઈ રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં જામનગરમાં ૪૨, મહેસાણામાં ૪૦ અને મોરબીમાં ૨૯ નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ભાવનગરમાં ૪૭, ગાંધીનગરમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૩૫, અમરેલી અને વલસાડમાં ૨૬-૨૬, ભરૂચ અને પંચમહાલમાં ૨૧-૨૧, કચ્છમાં ૨૦, ગીર-સોમનાથ અને નવસારીમાં ૧૬-૧૬, બનાસકાંઠા, દાહોદ અને ખેડામાં ૧૪-૧૪, પાટણમાં ૧૩ અને મહિસાગરમાં ૧૨ કેસ નોંધાયા છે. આણંદ અને સાબરકાંઠામાં ૧૧-૧૧ કેસ જયારે છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં કોઈ કેસ નોંધાયા નથી. બાકીના જિલ્લાઓમાં સિંગલ-ડિજિટમાં નવા કેસ નોંધાયા છે.

રાજયના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકાડ મુજબ એક દિવસમાં રાજયની વિવિધ હોસ્પિટલોમાંથી ૮૩૩ દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજયમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૪૪૯૦૭ પર પહોંચી ગઈ છે.

(11:47 am IST)