વડોદરા: કોરોનાના દર્દીઓના અંતિમ વિધિ કરતા કર્મચારીઓની વીમા સાથે કાયમી કરવાની માંગણી
કોઇ પણ પ્રકારની સુરક્ષા, વીમા કવચ વગર કામ કરતા કર્મીઓની પાલિકામાં સમાવવા માંગ
વડોદરા : વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનમાં કોરોનાના દર્દીઓની ગેસ ચિંતામાં અંતિમ ક્રિયા કરનારા કર્મચારીઓએ વીમા કવચ અથવા પાલિકાના સ્ટાફમાં સમાવવાની માંગ કરી છે. કર્મચારીઓએ જણાવ્યું કે, અમને માત્ર 9 હજાર રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. આ પગારમાં પોસાતું નથી. આ ઉપરાંત કોરોનાના ભય વચ્ચે સતત અમારે અંતિમ ક્રિયા કરવાની હોય છે.
વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગાઇડ લાઇન અનુસાર વડોદરામાં નિર્ધારિત સ્મશાન ગૃહોમાં ગેસ આધારિત સ્મશાનગૃહોમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ ગેસ ચિતા પર માસિક 9 હજારનાં પગારમાં કામ કરતા 25 જેટલા કર્મચારીઓ કોઇ પણ પ્રકારની સુરક્ષા, વીમા કવચ વગર કામ કરે છે. તેઓની માંગ છે કે તેમનો પાલિકામાં સમાવી લેવામાં આવે.!
ઘણી વખત અંતિમ વિધિ દરમિયાન કર્મચારીઓ દાઝી પણ જતા હોય છે. તમામ પ્રકારે પોતાનાં જીવના જોખમે ફરજ બજાવે છે. જો કે હવે તેમની માંગ તેમનો સમાવેશ પાલિકા કર્મચારી તરીકે કરવાનો છે. જો કર્મચારીઓને સુરક્ષા કવચ પુરૂ પાડવામાં ન આવે તો તેઓએ હડતાળ પર ઉતરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.