દેડીયાપાડાના વાંદરી ગામે તણાઇ જવાથી મૃત્યુ પામનાર ગીતાબેન વસાવાના વારસદારને રૂા.૪ લાખની સહાય અપાઇ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં સ્થાનિક વર્તમાનપત્રોમાં દેડીયાપાડા તાલુકાના આગ લાગવાથી ૧૯ મકાનોને થયેલા નુકશાન બાબતે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે સંબંધિત વિભાગ દ્વારા કરાયેલી જરૂરી સ્પષ્ટતા મુજબ અસરગ્રસ્તતોને જરૂરી સહાય ચૂકવવાની બાબત નીતિ વિષયક હોઇ, જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી અર્થે સરકારશ્રીમાં દરખાસ્ત કરાયેલ છે. જ્યારે સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં આગ અકસ્માતના કિસ્સામાં રૂા.૧,૦૦,૫૫૦ ની રકમ મકાન નુકશાનની સહાય પેટે તથા ખોપી ગામમાં પશુ મૃત્યુ/ઘરવખરી સહાય પેટે રૂા.૨૭,૧૦૦ ની સહાય ચૂકવવામાં આવી છે.
તેવીજ રીતે દેડીયાપાડા તાલુકાના વાંદરી ગામે તણાઇ જવાથી મૃત્યુ પામનાર મૃતક મમતાબેન વસાવાના વારસદારને રૂા.૪ લાખની રકમ મૃત્યુ સહાય પેટે તથા સાગબારા તાલુકાના સીમઆબલી ગામે આકાશી વિજળી પડવાથી મૃત્યુ પામેલ મૃતક ગીતાબેન કાલીયાભાઇ વસાવાના વારસદારને રૂા.૪ લાખ તેમજ તિલકવાડા તાલુકાના ખુશાલપુરા ગામના મૃતક પારૂલબેન ભગવાનદાસ ભીલના વારસદારને રૂા.૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.તદ્ઉપરાંત ગરૂડેશ્વર તાલુકાના નવાગામ (લીમડી) અને નધાતપોર સહિતના ૪ ગામોના કુલ-૪ પશુઓના મૃત્યુના કિસ્સામાં પણ કુલ રૂા.૬૫ હજારની સહાય ચૂકવવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.