સુરતના હીરા દલાલે ૧૫ કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું
કોરોનાના કહેરમાં હીરા બજાર પર ઊઠમણાં રૂપી કાળ : મહિધરપુરા હીરા બજારમાં વર્ષોથી દલાલી કરતો સૌરાષ્ટ્રવાસી દલાલ નાસી જતાં વેપારીઓમાં ઉચાટ
સુરત, તા. ૨ : હીરા ઉદ્યોગની હાલત કોરોનાને કારણે કફોડી થઇ છે ત્યારે શહેરના હીરા બજારમાં દલાલી કરતા વધુ એક દલાલે ઉઠમણું કર્યું હોવાની વાત વહેતી થઇ છે. જેના કારણે આ દલાલ હસ્તક કામ કરનારા વેપારીઓ અને નાના દલાલો દોડતા થયા છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના મહિધરપુરા હીરા બજારમાં વર્ષોથી હીરા દલાલી કરનાર એક સૌરાષ્ટ્રવાસી હીરા દલાલ રૂપિયા ૧૫ કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો છે. આ હીરા દલાલ કેટલાક નાના મોટા વેપારીઓ પાસેથી હીરા લઇને દલાલીનું કામ કરતો હતો. ઉપરાંત કેટલાક નાના દલાલો પાસેથી પણ ડાયમંડ લઇને દલાલી કરતો હતો. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે એક વેપારી રૂપિયા છ કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો હતો અને હવે આ દલાલે હાથ ઉંચા કરી દેતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. હીરા દલાલ સાથે કામ કરનારા વેપારીઓ અને દલાલોએ હાલમાં તેની શોધખોળ હાથ ધરી છે. તેમજ તેને હાજર કરવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.