૭થી ૧૧ જૂનમાં દ. સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના:દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ૫ તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે:ચોમાસુ લક્ષદ્વીપ પહોંચી ચુક્યું છે
અમદાવાદ, તા.૨ ઃગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ૫ તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે ૭ જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જૂન મહિનાની ૭ થી ૧૧ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ૫ તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે.
ચક્રવાતને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ૮થી ૧૧ જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે ચોમાસાને લઈને કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ૧૫થી ૧૭ જૂને ચોમાસુ બેસી શકે છે. જ્યારે ૨૨થી ૨૫ જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે.
ગઈકાલે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસે તેવી આગાહી છે. જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ ગરમી અનુભવાશે. રાજ્યમાં ૪૦ ડિગ્રી આસપાસ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે અમદાવાદમાં ૧ જૂન અને ૪ જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.