હરિચરિત્રામૃત સાગર કથાનો વિશ્વ વિક્રમ : ગિનિસ બૂકમાં સ્થાન
૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ (કુલ ર૪૪૦ કલાક) જીવંત પ્રસારણ થયેલ
વડોદરા, તા. ર : સદ્ગુરુ શ્રીઆધારાનંદ સ્વામી રચિત શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાન શ્રીસ્વામિ નારાયણનાં જીવનચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨, ૫૬૪ દોહા-સોરઠા-ચોપાઇઓ છે. આ વિરાટ કાય ગ્રંથની કથા એટલે સાગર કથા.
તા.૧૦ જુન, ૨૦૧૧ના રોજ કુંડળ ધામમાં શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા આ સાગર કથાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગ્રંથની ૧ થી ૨૦ પૂર સુધીની કથાનો લાભ પૂ. જ્ઞાનજીવન દાસજીએ આપ્યો હતો. અને બાકીના ૯ પૂરની કથાનો લાભ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ આપ્યો હતો. દેશ-વિદેશમાં લાઇવ પ્રસારણ થતી આ સાગર કથાથી હજારો લોકોના જીવનમાં સમજણ, સંસ્કાર અને સદ્ગુણ સિંચનનું અદ્ભુત કામ થયું છે અને હાલ પણ થઈ રહ્યું છે. કુંડળધામમાં ઇ.સ.૨૦૧૭ના ઓકટોબરમાં ઉજવાયેલ ભવ્ય સાગર મહોત્સવમાં તા.૨૬ ઓકટોબર ૨૦૧૭ના રોજ આ સાગર કથાની પૂર્ણાહુતિ થઈ હતી તે પ્રસંગે તા.૨૭ ઓકટોબર ૨૦૧૭ના રોજ સાગર કથા– ઓડિયો બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત્ ૨૩૩૨ દિવસ સુધી ચાલેલ આ કથાના કુલ ૨૪૪૦ કલાક, ૪૪ મિનીટ અને ૫૨ સેકંડ થયા છે. એક જ ગ્રંથ ઉપર સૌથી લાંબા સમય સુધી કથા થઇ હોય અને તે લાઇવ પ્રસારણ થઈ હોય એવી કદાચ દુનિયાની આ પ્રથમ ઘટના છે. તેની જાણ શ્નગિનિસ વર્લ્ડ રેકોર્ડસને થતાં તેમણે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના આવા અદ્ભુત કાર્યને શ્નગિનિસ વર્લ્ડ રેકોર્ડસમાં લોંગેસ્ટ ઓડીયો બૂક એટલે કે સૌથી લાંબી સાગર કથા નામે સ્થાન આપ્યું છે અને સ્વામીને સન્માનિત કર્યા છે. ભગવાન શ્રીસ્વામિનારાયણનાં જીવનચરિત્રો અને ઉપદેશોને પ્રોત્સાહિત કરવા અને અને જનકલ્યાણના હેતુથી આ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે.તેમ સાધુ અલૌકિકદાસજી જણાવે છે. (૯.૩)