પોલીસે કાર રોકવાનો પ્રયાસ કર્યો છતાં ભાગી છૂટનાર જમીન વિકાસ નિગમના અેમડી ડો. કે. અેસ. દેત્રોજા સામે ફરજમાં રૂકાવટનો ગુનો
અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વાય. એમ. ગોહિલની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત જમીન વિકાસ નિગમના લાંચ-રુશવત કેસમાં આરોપી મેનેજિંગ ડાયરેકટર ડો.કે. એસ. દેત્રોજા એસ.જી. હાઇવે પર સોલા ભાગવત નજીકથી પસાર થનાર છે. દરમ્યાનમાં પોલીસે વોચ ગોઠવી હતી.
દેત્રોજાની કાર આવતાવેંત પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દેત્રોજાએ કાર ભગાવી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરી ભાગવત વિદ્યાપીઠ પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં તેમને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વાય. એમ. ગોહિલે તેમને નીચે ઊતરવા જણાવ્યું હોવા છતાં તેઓ કારમાંથી બહાર આવ્યા ન હતા.
પોલીસે કારનો કાચ તોડી દરવાજો ખોલી તેમને બહાર કાઢ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં કાર ભગાવી મૂકી પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હોઇ ક્રાઇમ બ્રાન્ચે તેમની વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે.