દહેજના દુષણે વધુ એક ‘આયશા’નો જીવ લીધો: રામોલની મહિલાએ કર્યો આપઘાત
અન્નપૂર્ણાએ કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો : ભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ : સામાજિક દુષણ દહેજના કારણે તાજેતરમાં જ અમદાવાદના વટવાની આયશાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તેણે હસતા મોઢે વીડિયો બનાવી સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ શાહી હજુ ભૂંસાઇ પણ નથી, ત્યાં વધુ એક દહેજ અત્યાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,જેમાં મહિલાએ પોતાનું જીવન ટુંકાવી લીધું. મળતી માહિતી મુજબ રામોલમાં રહેતી ઉત્તરપ્રદેશની મહિલાને પતિ અને પરિવારજનો દહેજને લઈને ત્રાસ આપતા હતા, જેથી કંટાળીને તેને આપઘાત કરી લીધો હતો
મળતી માહિતી મુજબ યુપીના શાહજહાપુરમાં રહેતી અન્નપૂર્ણા ઉર્ફે લીલાદેવી નામની યુવતીના લગ્ન મે-2020માં રાજકુમાર નામના યુવક સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદથી જ મહિલાના પતિએ દહેજ માટે ત્રાસ આપવા માંડ્યો હતો. પતિ મહિલાને મેણા -ટોણા મારતો હતો કે તારા પિયરિયાઓએ તારી મોટી બહેનને બાઇક લઈ આપ્યું છે, મારે પણ બાઇક જોઈએ. તું તારા ભાઈ પાસેથી રૂપિયા લઈ આવ. લગ્નમાં થયેલા ખર્ચ પણ લઇ આવવા પતિ પત્ની પર દબાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે
અવારનવાર ત્રાસ આપતો પતિ અને સાસરિયા વિરુદ્ધ મહિલાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે સમાજના લોકોએ સમાધાન કરાવતા મામલે થાળે પડ્યો હતો
આ ઘટના બાદ પતિ રાજકુમાર પત્ની અન્નપૂર્ણાને લઈને અમદાવાદ આવી ગયો હતો. બન્ને જણાં બહેનના મકાનમાં રહેતા હતા. બાદમાં રાજકુમારની બહેનો, નણદોઈ તેની પત્નીને અવાર નવાર દહેજને લઈને ટોણા મારતા હતા. તેઓ પરિણીતાનેકહેતા કે જો તું માગ્યા મુજબ દહેજ લાવી ન શકતી હોય તો જીવે છે શું કામ? અંતે અન્નપૂર્ણાએ કંટાળી 27 ફેબ્રુઆરીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પતિ અને દહેજના ભૂખિયા સાસરિયાથી કંટાળી અમદાવાદના વટવામાં રહેતી આયશાએ વીડિયો બનાવી આપઘાત કર્યો હતો. આ ઘટનાએ સભ્ય સમાજના ગાલ પર કડક તમાચો માર્યો છે. ભારત દેશમાં દહેજ વિરુદ્ધનો કાયદો 1961 બન્યો હતો, પરંતુ તેના કડક અમલ ના થવાના કારણે બહેન બેટીઓ હજુ પણ દહેજના બોજા હેઠળ જીવી રહી છે. થોડાક જ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, જોકે ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવતા નથી અથવા તેને દબાવી દેવામાં આવે છે.