ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુજરાતમાં પ્રથમ વાર ગુરુકુલની સ્થાપના કરી પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધત્તિનો પુનરોદ્ધાર કર્યો છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી
ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩ મી પુણ્ય તીથિ પ્રસંગે મેમનગર ગુરુકુલમાં નૂતન ધર્મજીવન ભવનનો વૈદિક વિધિ સાથે શિલાન્યાસ સંપન્ન
અમદાવાદ તા.૨ ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩મી પુણ્ય તીથિની પૂર્વ સંધ્યાએ મેમનગર ગુરુકુલ ખાતે વિદ્યાર્થીઓ, દ્વારા અખંડ ૨૫ કલાકની ધૂન, ૨૫ કલાક અખંડ મંત્રલેખન, ૨૫ કલાક સુધી અખંડ દંડવત અને ૨૫ કલાક રાસ લીધેલ, જેમાં સંતો અને સ્થાનિક હરિભકતો પણ જોડાયા હતા.
શિલાન્યાસ પૂર્વે વૈદિક વિધિ સાથે શિલા પૂજન કરવામાં આવ્યું હતુ, જેમાં દરેક યજમાન જોડાયા હતા.
મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું બિલ્ડીંગ જીર્ણ થતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુ.હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩ મી પુણ્ય તીથિ પ્રસંગે મેમનગર ગુરુકુલમાં નૂતન ધર્મજીવન ભવનના પૂજન વિધિમાં ચારેય સંતોના હસ્તે શિલાન્યાસની વિધિ સંપન્ન થઈ હતી.
આ ખાત વિધિમાં આફ્રિકા-નાઈરોબીવાસી જૈન પરિવારના અગ્રણી શ્રી કપુરચંદ બાપા દ્વારા ચાંદીની ઇંટ, સારંગપુર હનુમાનજી મહારાજના વાઘા, ગઢડા દાદા ખાચર દરબારની પ્રસાદી ભૂત માટી, ગંગાજળ, હરિદ્વારથી ગંગામૈયાના પત્થરો, વગેરે ખાત વિધિમાં પધરાવવામા આવ્યા હતા.
શિલાન્યાસ વિધિ કર્ણાટક, મેલકોટના વતની અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને પ્રાધ્યાપકોમાં ભગીરથભાઇ ત્રિવેદી, ચિંતનભાઇ જોષી અને અજયભાઇ પંડ્યાએ કરાવી હતી.
પૂજનમાં દાતા તરીકે અંકલેશ્વરના વિપુલભાઇ ગજેરા, પુત્ર ધ્રુવ ગજેરા અને ચીમનભાઇ અગ્રવાલે લાભ લીધો હતો.
આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે આ વિશાળ સાત માળનું ભવનનું નામ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સાથે જોડાયેલ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુજરાતમાં પ્રથમ વાર ગુરુકુલની સ્થાપના કરી પ્રાચીન ગુરુકુલ શિક્ષા પદ્ધત્તિનો પુનરોદ્ધાર કર્યો છે.
આજે એમની ૩૩ મી પુણ્યતીથિ છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ અને સદવિદ્યા પ્રવર્તનના આદેશને દિગંતમાં પ્રસરાવનારા ગુરુદેવના ચરણમાં આ નૂતન નિર્માણનો સંકલ્પ કરીએ છીએ.
કોરોનાનો કઠણ કાળ છે છતાં દેશ વિદશોમાંથી ભકતો દ્વારા જે આર્થિક સહકાર મળેલ છે તે સર્વેને અમારા અભિનંદન.
પ્ર સંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરેલ. સતત ભજન અનુષ્ઠાન પ્રિય એવા વયોવૃદ્ધ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પણ પ્રાસંગિક પ્રવચન કરેલ તેના વરદ હસ્તે શિલાન્યાસમાં પ્રથમ શિલા મૂકવામાં આવેલ.
દરરોજ રાતે ઓન લાઇન રાતે ૮ થી ૯ માધવપ્રિયદાસજી સ્વામી ધર્મજીવન ગાથા નું શ્રવણ કરાવી રહ્યા છે.