એક દિવસે મતગણતરી કરવા મામલે પંચ-સરકારને નોટિસ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ : ૬ ફેબ્રુઆરી પહેલા જવાબ રજૂ કરવા આદેશ : આ મુદ્દે વધુ સુનાવણી ૯ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે
અમદાવાદ, તા. ૨ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક જ દિવસે મતગણતરી કરવાની માંગને મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઈલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઈશ્યું કરીને ૬ ફેબ્રુઆરી પહેલા જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી ૯ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. જો કે, ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે કરવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે તો ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતા પર વિપરિત અસર થશે.
અમદાવાદ સહિત ૬ મહાનગરોમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજોનારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ ગઈ છે. અમદાવાદના ૪૮ વોર્ડ મળી ૬ મહાપાલિકાના ૧૪૪ વોર્ડની કુલ ૫૭૬ બેઠકો માટે ૬ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવા માટે રાજ્યના ચૂંટણી પંચે કોરોના સંદર્ભે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ત્યારબાદ ૮મીએ ફોર્મ ચકાસણી થશે અને ૯મીએ ફોર્મ પાછા ખેંચી શકાશે. ઉમેદવારને કોરોનાનો ચેપ લાગ્યો હોય અથવા શંકાસ્પદ લક્ષણો હોય તો પણ પ્રોટોકોલના પાલન સાથે ફોર્મ ભરી શકશે.