ગુજરાત
News of Tuesday, 1st December 2020

મહિલાના પતિએ જ તેના પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું

નર્મદા કેનાલમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : વિરમગામના કેસમાં પોલીસે સઘન તપાસ કર્યા બાદ હત્યાનો ભેદ ઉકેલી છ શખ્સોની પોલીસે અટકાયત કરી

વિરમગામ, તા. ૧ : વિરમગામમાં નર્મદા કેનાલમાંથી ૪૦ વર્ષના શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા પ્રેમપ્રકરણ કારણભુત હોવાનું બહાર આવ્યું હતું. મૃતકને એક મહિલા સાથે પ્રેમસંબંધ હતો જેને કારણે મહિલાના પતિએ તેના સાગરીતો સાથે મળીને તેનું અપહરણ કરીને હત્યા કરી નાંખી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ સંદર્ભે છ શખ્સોની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ વિરમગામ માલવણ રોડ પર કાબરા નામના નાળામાંથી પોલીસને ૪૦ વર્ષના શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવતા વિરમગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવતા તે ભાવનગરના કદરેજ ગામના રાજુભાઈ ભીખાભાઈ હાડા(૪૦) અને પાન બીડી અને ઠંડા પીણાનો વ્યવસ્ય કરતા હોવાની માહિતી મળી હતી. જોકે પોલીસ હત્યાનો ભેદ ઉકેલી શકી ન હતી.

જેને પગલે અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબીએ મૃતકના સંબંધીઓની પુછપરછ કરતા રાજુભાઈને આંકલાવ તાલુકાના ભેટાસી ગામમાં રહેતી મીનાબહેન ઉર્ફે મઠી નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું ખલ્યું હતું. ૨૯ ઓક્ટોબરના રોજ સસરાની તબિયત સારી ન હોવાથી તે પોતાની સાસરી ભેટાસી ગામ ગયા હતા અને ત્યાંથી ગુમ થઈ ગયા હતા. આ અંગે તેમના સાસુએ તેમની ગુમ થયાની ફરિયાદ પણ આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

વધુ તપાસ કરતા રાજુભાઈ જ્યારે તેમની સાસરી જતા ત્યારે મીનાબહેન સાથે પ્રેમસંબંધને કારણે મીનાબહેનના સંબંધીઓ તેમની સાથે બોલાચાલી કરતા હતા. જેને કારણે તેમના સંબંધીઓ પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે મીનાબહેન અને તેમના સંબંધીઓની કોલ ડિટેલ કઢાવતા ભુવાજી શેલાભાઈ ભરવાડના મોબાઈલ નંબરની હાજરી ધોળી વટામણ ચોકડી વિસ્તારમાં જોવા મળી હતી. તપાસમાં રાજુભાઈ ભેટાસી ગયા ત્યારે શેલાભાઈ ભરવાડે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું પણ રાજુભાઈ બચી ગયા હતા. બાદમાં ૧ નવેમ્બરના રોડ રાજુભાઈ બાઈક લઈને પોતાના વતન જતા હતા ત્યારે શેલાભાઈ અને તેમના સાગરીતોએ કારમાં પીછો કરીને રાજુભાઈને માથામાં ફટકો મારીને અટકાવ્યા હતા.

          બાદમાં કારમાં જ તેમનું અપહરણ કરી કરી હત્યા કરી લાશને વિરમગામ માલવણ રોડ પર નાળામાં લાશ ફેંકી દીધી હતી. પોલીસે બનાવના સ્થળની આસપાસના મોબાઈલ લોકેશન અંગે તપાસ કરતાં મીનાના પતિ અને માતાજીનો ભૂવો એવો શેલા ભરવાડનો નંબર વટામણ ચોકડી સુધી જણાયો હતો. તે દિશામાં પોલીસે તપાસ કરી એલસીબીએ શેલા ભરવાડની અટકાયત કરી પૂછપરછ કરતાં પોતાની પત્નીને રાજુ સાથે પ્રેમ સંબંધ હતો જેની શંકા રાખી તેની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. મૃતક રાજુ ભેટાસી ખાતે હતો ત્યારે ૩૦ ઓક્ટોબરના રોજ રાત્રે શેલા ભરવાડે તેની લાયસન્સ વાળી રીવોલ્વરથી રાજુ પર ફાયરિંગ કર્યુ હતું. બીજા દિવસે જ્યારે રાજુ પોતાના ઘરે જવા નીકળ્યો ત્યારે શેલાએ પોતાના સાળા દોલા ભરવાડને તેની રેકી કરવા કહ્યું હતું. આસોદરા ચોકડી સુધી પીછો કર્યા બાદ અન્ય આરોપી મેલા ભરવાડે તેનો પીછો કર્યો હતો. દરમિયાનમાં શેલા ભરવાડ પોતાના ઘરે કામરેજથી ફોર્ચ્યુનર ગાડી લઈ અન્ય મિત્રો સાથે નિકળ્યો હતો. આ હત્યા સંદર્ભે પોલીસે શેલાભાઈ વી.ભરવાડ, ભરત જી.બોળીયા, દોલાભાઈ કે. સભાડ, મહેશ ડી.ચિહલા, રમેશ ખુમાણજી તુસાવડા અને પ્રતિક પી.મનદાયાની અટક કરી હતી.

(9:13 pm IST)