ગુજરાત
News of Tuesday, 1st December 2020

બે મિત્રોએ ચપ્પાના ઘા ઝીંકી મિત્રની ક્રૂર હત્યા કરી દીધી

સુરતમાં વધુ એક હત્યાની ઘટના : હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્ર ઝાવરેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો

સુરત,તા.૧ : સુરતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં જુના ઝગડાની અદાવતમાં બે મિત્રોએ અન્ય એક મિત્રને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાખતી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, કોરોના કર્ફ્યુ વચ્ચે સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ફરી એક વાર કોરોના મહામારી વચ્ચે ચાલતા કર્ફ્યુ વચ્ચે બીજા દિવસે પણ હત્યાની ઘટના અમે આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, સુરતના પુણા ગામ ખાતે આવેલા  ભૈયાનગરમાં જૂની અદાવતમાં બે મિત્રોએ ચપ્પુના ઘા ઝીંકી પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી. જોકે,  દેવેન્દ્ર ઝાવરે ઉર્ફે ચિન્ટુને અગાઉ કિશન શંકર કનોજીયા અને જયેશ શંકર કનોજીયા સાથે કોઈ વાતે તકરાર થઇ હતી. જેની અદાવત રાખી આ બંનેએ દેવેન્દ્ર ઝાવરે પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

          કિશન અને જયેશ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્ર ઝાવરેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે, હત્યાની ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને  પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા કિશન અને જયેશની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે, ઇજાગ્રસ્ત હાલતમાં જ્યારે દેવેન્દ્ર ઝાવરેને જ્યારે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે તેની પાસેથી પણ ચપ્પુ મળી આવ્યું હતું. કિશન અને જયેશે દેવેન્દ્રને કઇ જૂની અદાવતમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી તે હાલ જાણી શકાયું નથી.

(7:52 pm IST)