સુરતના ઉઘના વિસ્તારમાં રીક્ષા ચાલકના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 1.89 લાખના દાગીનાની ઉઠાંતરી કરી
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં રહેતા રીક્ષાચાલક ભાઈના પુત્રના લગ્નમાં હાજરી આપવા સપરિવાર વતન મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી પતરાના કબાટમાંથી રૂ.1.88 લાખના 47 ગ્રામ સોનાના દાગીના અને રૂ.1200 ના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.89 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં ઉધના બીઆરસી ગાંધીકુટીર મકાન નં.224 માં રહેતા 49 વર્ષીય રીક્ષાચાલક છોટુભાઈ ઓમકાર પવારના વતન મહારાષ્ટ્રના ધુલીયાના શીંદખેડાના અમળથે ગામમાં રહેતા ભાઈના પુત્રના લગ્ન હોય તેમનો પુત્ર વિલાસ, તેની પત્ની વૈશાલી, પૌત્રી ભાવિકા ગત 18 નવેમ્બરે ત્યાં ગયા હતા જયારે છોટુભાઈ પત્ની શોભાબેન સાથે ગત 23 નવેમ્બરે ત્યાં ગયા હતા.
દરમિયાન, ગત સવારે છોટુભાઈ ત્યાં હાજર હતા ત્યારે પાડોશી મિત્ર સંતોષ મહાજને ફોન કરી જાણ કરી હતી કે ઘરનું તાળું તૂટેલું છે. આથી છોટુભાઈએ ઉધના વિનાયકનગરમાં રહેતા જમાઈ અનિલ બોરસેને ઘરે જઈ તપાસ કરવા કહેતા તે ઘરે પહોંચ્યા તો મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને અંદર સામાન વેરવિખેર હતો.