ગુજરાત
News of Saturday, 1st October 2022

અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થતા વૃદ્ધાને જીવતી સળગાવી: ઘરમાં કામ કરતી મહિલાની ધરપકડ

મેઘાણીનગર વિસ્તારમાં આવેલ તાતા નગરમાં બે દિવસ પહેલા એક વૃદ્ધાનો તેમના ઘરના સ્ટોર રૂમમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યા

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં વૃદ્ધ મહિલાને જીવતા સળગાવી દઈને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૈસાની લેતી દેતીમાં થયેલ બોલાચાલીમાં આરોપી મહિલાએ આ પગલું ભર્યું છે. પરંતુ હકીકતનું કારણ જાણવા માટે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

 

મેઘાણીનગર વિસ્તારમાં આવેલ તાતા નગરમાં બે દિવસ પહેલા એક વૃદ્ધાનો તેમના ઘરના સ્ટોર રૂમમાંથી સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોટમ માટે મોકલી આપીને અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી હતી.

મેઘાણીનગર પોલીસે શંકાના આધારે તપાસ કરતા મહિલા આત્મહત્યા નહીં કર્યા હોવાનું સામે આવ્યું અને પરિવારજનોને પૂછપરછ કરતા ઘરમાં કામ કરતી મહિલા રંજનબેન પરમાર નામની પૂછપરછ કરતા પોતે ગુનો કબુલ કરતા મહિલાની ધરપકડ કરી છે. 

બાદમાં પૂછપરછમાં સામે આવ્યું છે કે જે છેલ્લા ચાર વર્ષથી મૃતક મહિલાના પુત્રવધૂ જેમને પેરાલિસિસ થયો હોવાથી તેમની સાર સંભાળ રાખતા હતા. જો કે બનાવના દિવસે આરોપી અને મૃતક વૃદ્ધા વચ્ચે પૈસાની લેતી દેતીને લઈને બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં આરોપી મહિલાએ કેરોસીન નાંખીને વૃદ્ધાને સળગાવી દીધા હતા. બાદમાં ઘરેથી ફરાર થઇ ગઇ હતી.

પોલીસે ઘરની તપાસ કરતા પરિવારજનોએ મૃતક વૃદ્ધાએ પહેરેલ સોનાની બંગડી પણ ગાયબ હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે મહિલા આરોપીને પકડી દાગીના ચોરી અંગે પૂછપરછ શરૂ કરી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

(10:00 pm IST)