ગુજરાત
News of Saturday, 1st October 2022

રાજ્યમાં ગાંધી જયંતિથી ખાદી અને પોલીવસ્ત્રમાં ૩૦ ટકા વિશેષ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

ખાદી ખરીદી ઉપર ગ્રાહકોને આ લાભ વળતર તરીકે મળશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ખાદીનું વેચાણ વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તેવો મહત્વપૂર્ણ ઉદાત્ત અભિગમ અપનાવ્યો

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ખાદીનું વેચાણ વધે અને ખાદી ઉત્પાદનો ખાદી વણાટ સાથે સંકળાયેલા અંતરિયાળ વિસ્તારોના ગ્રામીણ કારીગરોને આર્થિક આધાર મળે તેવો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ ગાંધી જ્યંતિ તા. ર ઓક્ટોબર-2022 થી તા. 31 ડિસેમ્બર-2022 સુધીના સમયગાળા માટે ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદન કિંમત ઉપર ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે ખાદી ખરીદી ઉપર ગ્રાહકોને આ લાભ વળતર તરીકે મળશે

  વડાપ્રધાન મોદીની પ્રેરણાથી દેશમાં ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે મુખ્યમંત્રીએ આ વર્ષે વધુ 10 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા ગાંધી જ્યંતિના ઉપલક્ષ્યમાં તા.ર ઓક્ટોબરથી 31 ડિસેમ્બર-2022 સુધીના સમયગાળા માટે આપવામાં આવતી 20 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય ઉપરાંત આ 10 ટકા સહાય મળીને હવે કુલ 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આ વર્ષે ગુજરાતમાં અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ ખાદી ફોર ફેશન-ખાદી ફોર નેશન’ ને વ્યાપકપણે પ્રોત્સાહિત કરવા તાજેતરમાં અમદાવાદમાં ‘ખાદી ઉત્સવ’માં તહેવારો, સામાજીક પ્રસંગોમાં લોકોને વધુ ખાદી ખરીદી માટે કરેલા આહવાનને ગુજરાત સરકારે આ ખાસ બજાર પ્રોત્સાહન સહાયથી પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે જાહેર કરેલી આ 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાયને પરિણામે ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક ઊજાસ પથરાશે.

(8:00 pm IST)