અમદાવાદ ટ્રેનો મારફત આવતા મુસાફરોના ટેસ્ટીંગમાં કોરોનાના 7 પોઝીટીવ કેસ મળ્યા
રાજધાની એક્સપ્રેસમાંથી 5 કેસ મળ્યા :ગોરખપુરના 304 મુસાફરોની તપાસ પણ એકપણ પોઝીટીવ નહીં
અમદાવાદ:અમદાવાદ રેલવે સ્ટેશને જુદી જુદી ટ્રેનોના મુસાફરોના હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં કુલ 7 કોરોના પોઝિટિવના કેસો મળ્યા હતા. તેમાંથી 5 તો એક માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા. આમ રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેઇનોની સરખામણીમાં વધુ કેસો મળ્યા હતા.
બુધવારે 1270 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 7 કેસો મળી આવ્યા હતા. આ 7 કેસો પૈકીના માત્ર 1 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 6 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાહતની વાત તો એ છે કે ટ્રેનમાં આવતા મુસાફરોમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. તેમાંય વળી આજે ગોરખપુર એક્સપ્રેસમાં 304 મુસાફરોમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ મળ્યા ના હતા.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.