મહાત્મા ગાંધીજીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ મેમનગર ગુરૂકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન: SGVPગુરૂકુલના ૫૦ સંતો ૧૧૦૦ વિદ્યાર્થીઓ અને ૫૦૦ હરિભકતો જોડાયા ૧૮ ટ્રેક્ટર જેટલો કચરો બહાર ઠાલવ્યો.
અમદાવાદ તા. 1 : અમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, અેસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણા ઘર, ફળી, શેરી અને ગામ આભલા જેવા રૂપાળા હોવા જોઇએ. એ સુત્ર અનુસાર ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૧ વાગ્યા સુધીમાં મેમનગર વિસ્તાર- ગુરૂકુલ રોડ અને ડ્રાઇવ ઇન રોડ તેમજ મેમનગર અાજૂબાજુ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
મહાત્મા ગાંધીજીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ આ સ્વચ્છતા અભિયાનમાં મેમનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તેમજ ગુરૂકુલ પરિવાર સત્સંગ મંડળ સભ્યો, ૧૧૦૦ ગુરૂકુલના વિદ્યાર્થીઓ તેમજ ગુરૂકુલના ૫૦ સંતો જોડાયા હતા.
જોતજોતામાંતો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો. અને ૧૫ ટ્રેક્ટર જેટલો કચરો બહાર ઠલવ્યો હતો.
વિદેશ સત્સંગ યાત્રાએ વિચરણ કરી રહેલ પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી સ્વચ્છતા અભિયનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારત દેશનું કલંક ગંદકી છે તે આપણે મીટાવવું છે. ખરેખર ભારત દેશ તો ભગવાનના અવતાર દેશ, ઋષિમુનિઓનો દેશ અને દેવોનો દેશ છે. દેવો જેવા પવિત્ર થઇ દેવની પૂજા કરીએ તો દેવો આપણની પૂજા સ્વીકારે છે. માટે આપણાં ધર, આંગણાની સાથે આપણાં શરીર અને મન સ્વચ્છ રાખવા જોઇએ.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણ્દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે મળ મુત્ર કે થુંકવું પણ નહી.
આ સ્વચ્છતા અભિયાનમાં મેમનગર વિસ્તાર ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, દેવાંગભાઇ દાણી (મ્યુ.કમિશ્નર), મનિષભાઇ ત્રિવેદી, દેવેનભાઇ (આસી.કમિશ્નર) વગેરે સ્થાનિક મહાનુભાવો પણ જોડાયા હતા.