નવસારીના ગણદેવીમાં તળાવમાં ઝેરી દવા નાખવામાં આવતા ઝીંગાના મોતથી ચકચાર
નવસારી:ગણદેવીનાં ભાટગામે બે દિવસ અગાઉ ઝીંગાના તળાવમાં કોઇકે ઝેરી દવા નાંખી તળાવનાં તમામ ઝીંગા મારી નાંખતા ચકચાર મચી છે. આ ઘટનામાં જુના ઝઘડાની અદાવત રાખી પાડોશી તળાવ માલિકે કૃત્ય કર્યું હોવાની શંકા ભોગ બનનાર તળાવ માલિકેપોલીસને આપેલી ફરિયાદમાં વ્યક્ત કરી છે. આ ઘટનાનાં પગલે સેંકડો ઝીંગા તળાવ માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
ગણદેવી તાલુકાના પશ્ચિમે દરિયા કિનારે આવેલો છે. અહીંની ખારપાટની જમીનમાં સરકારે ઝીંગા ઉછેરવા માટે માછીમારોને તળાવો બનાવવા માટે જમીનો ફાળવી છે. જેમાં સેંકડો ઝીંગાના તળાવો છે. જે પૈકી ભાટગામે ફાટક પાસે આરતીબેન જીજ્ઞોશભાઇ ટંડેલ (રહે. કુવાફળિયા, ભાટ, તા. ગણદેવી)નું ઝીંગા ઉછેરવાનું તળાવ છે. બે દિવસ અગાઉ તા. ૨૯-૮-૨૦૧૮નાં રોજ રાત્રિનાં ૧૦ વાગ્યાના સુમારે તેમના ઝીંગાના તળાવમાં કોઇ અજાણ્યા શખ્સો ઝેરી દવા ભરેલી પ્લાસ્ટીકની થેલી ફેંકી ગયા હતા. તેમને તળાવ પર કામ કરતા શ્રમજીવીએ જોયા હતા.