વડોદરાના માંજલપુર વિસ્તારમાં સાતમા માળેથી નીચે પડી જનાર યુવકના મૃત્યુ અંગે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી
વડોદરા: માંજલપુર વડસર ગામ ડ્રીમાત્મન-વન બિલ્ડીંગના ૭ મા માળેથી નીચે પડી જતા મોતને ભેટેલા યુવકના પરિવારજનોએ આ ઘટના અકસ્માત મોતની નહી હોવાના આક્ષેપ સાથે માંજલપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે.
ગત તા.૨૯ મી ની વહેલી સવારે ૬ વાગ્યે ડ્રીમાત્મન-વનમાં રહેતો ટોનિસ થોમસભાઇ ક્રિશ્ચન અગાશી પર થી નીચે પટકાતા તેનું મોત થયું હતુ.ટોનિસની પત્ની, દીકરી અને અન્ય પરિવારજનો અમદાવાદમાં રહે છે.પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે,ટોનિસ અગાશી પર ટાંકીમાં પાણી ભરવા માટે ગયો હતો.અને ત્યાંથી તેનો પગ લપસતા નીચે પટકાતા મોત થયું હતું.જ્યારે આજે તેના ભાઇ અને સાળાએ માંજલપુર પોલીસ સ્ટેશન આવીને એવી રજૂઆત કરી હતી કે,પાણીની ટાંકી અને અગાશીની પાળી વચ્ચે ૧૫ ફૂટનું અંતર છે.તો પછી ટોનિસ કેવી રીતે નીચે પડયો ?આજે તેની દીકરીને બર્થડે હતી.અને તે ઘરે અમદાવાદ આવવાનો હતો.અમને તેના મોત અંગે શંકા છે.જેથી,તેની તપાસ થવી જોઇએ.
આ અંગે માંજલપુર પી.આઇ.ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે,ટોનિસનું મોત અકસ્માતથી જ થયું છે.તેના ઘરમાંથી દારૃની બોટલ મળી આવી છે.જેથી,તેણે નશો કર્યો હોવાની શંકા છે.પરંતુ,અમે પી.એમ.રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.તેમણે હત્યાની ઘટના હોવાનો ઇન્કાર કર્યો છે.