સુરતના મોટા વરાછામાં ઘર કંકાસથી કંટાળી બે સંતાન સાથે પરિણીતાએ આપઘાત કર્યો
સુરત: શહેરના મોટા વરાછાના શ્રીનિધી એપાર્ટમેન્ટમાં ઘરેલું કંકાશથી કંટાળી હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવા નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. લોક્ડાઉનના કારણે વતનમાં ફસાયેલા હીરા દલાલને જાણ થતા તે તુરંત જ સુરત દોડી આવ્યો હતો અને પત્ની વિરૂધ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
નાના વરાછાના યોગી ચોક વિસ્તારના સાવંત પ્લાઝામાં રહેતો અને મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો જીતેશ છગન લાઠીયા (ઉ.વ. 38 મૂળ રહે. નવઘણ વદર, તા. પાલીતાણા, જિ. ભાવનગર)ના 14 વર્ષના લગ્નજીવન દરમ્યાન સંતાનમાં પુત્રી શ્લોકા (ઉ.વ. 13) અને પુત્ર વિધાન (ઉ.વ. 7) છે. મુંબઇ ખાતે હીરા દલાલીનું કામ કરતો જીતેશ અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. પરંતુ પત્ની સાથે રોજબરોજ ઝઘડા થતા હોવાથી જીતેશ છેલ્લા દોઢ વર્ષથી નાના ભાઇ રાકેશ સાથે રહેતો હતો. બે મહિના અગાઉ જીતેશ વતન ગયો હતો તે દરમ્યાન લોક્ડાઉન જાહેર થતા ત્યાં જ રહેવાની ફરજ પડી હતી.