પાલનપુરમાં ટયુશન કલાસ ફરીવાર શરૂ કરાવવા વિદ્યાર્થીઓએ ધારાસભ્ય- કલેકટરને કરી રજૂઆત
ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન ની ચિમકી ઉચ્ચારી
પાલનપુરમાં કેટલાક ટયુશન કલાસના સંચાલકોએ કલાસ ચાલુ કરાવવા માટે તંત્ર સામે મોરચો માંડ્યો છે. ત્યારે વિધાર્થીઓને ટયુશન કલાસ પુનઃ શરૂ કરાવવા માટે પાલનપુરના ધારાસભ્ય અને કલેકટરને આવેદન આપી રજૂઆત કરાઈ હતી. જેમાં ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન ની ચિમકી ઉચ્ચારી હતી.
સુરતમાં તાજેતરમાં ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જેના પગલે બનાસકાંઠામાં વહીવટી તંત્ર દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરાવવામાં આવ્યા હતા. જેના પગલે આગામી દિવસોમાં આવી રહેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીને મુસ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હોઇ કેટલાક ટયુશન કલાસના સંચાલકોએ ટયુશન કલાસ ચાલુ કરાવવા માટે તંત્ર સામે મોરચો માંડયો છે.
દરમિયાન, વિદ્યાર્થીઓ પાલનપુર કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ અને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી ક્લાસીસ ચાલુ કરવાની માંગ કરી હતી. તેમ છતા જો ક્લાસીસ ચાલુ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉપવાસ પર ઉતરવાની ચિમકી આપી હતી.