ગુજરાત
News of Friday, 1st June 2018

હિન્દુઓની લાગણીઓના મુદ્દે કોંગ્રેસ ઉપર ભાજપના પ્રહારો

પાઠ્યપુસ્તકમાં ભુલને લઇને આક્ષેપબાજીઃ અગાઉ રામનું અસ્તિત્વ નથી તેવું એફિડેવિટ કરતી વખતે કોંગ્રેસને કરોડો હિન્દુની લાગણીની ચિંતા શા માટે ન થઈ

અમદાવાદ, તા.૧: આજ રોજ કર્ણાવતી મહાનગર ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગુજરાતી સાહિત્યનું ગૌરવ એળા કવિ તુષાર શુક્લ અને યુવાનોના આદર્શ એવા આપણા ગુજરાતના યુવા ક્રિકેટર પાર્થિવ પટેલ સાથે વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેનદ્ર સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી અને ચર્ચા વિચારણા કરી હતી.

વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશભરમાં ભાજપના ૪૦૦૦ આગેવાનો ઓછામાં ઓછા ૨૫ લોકો કે જેઓ સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવે છે, જેમણે પોત પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિદ્ધિઓ હાસલ કરી છે તેમને રુબરુ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો, યોજનાઓ, સિદ્ધિઓ, કાર્યપદ્ધતિ, ભવિષ્યની ના ભારત વિશેષની સંકલ્પના અંગે ચર્ચા વિચારણા કરવાનું કાર્ય વિશેષ સંપર્ક અભિયાનના માધ્યમથી હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્તકની અંગ્રેજી આવૃત્તિમાં એક શબ્દની મુદ્રણની ભુલ માત્ર હતી. તેમણે જણાવ્યું હતું કે, એક શબ્દની ભુલમાં હિન્દુઓની લાગણીની વાતો કરતી કોંગ્રેસને ભગવાન રામનું અસ્તિત્વ જ નથી તેવું એફિડેવિટ કરતી વખતે કરોડો હિન્દુઓની લાગણીની ચિંતા શા માટે ન થઇ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાઠ્યપુસ્તકમાં માત્ર એક શબ્દની મુદ્રણ ભુલ હતી પરંતુ કોંગ્રેસની તો સંપૂર્ણ વિચારધારા જ ભુલભરેલી છે. કોંગ્રેસની વિચારધારા મુજબ તો ભગવાન રામનું અસ્તિત્વ જ નથી. કોંગ્રેસ જ્ઞાતિવાદ-જાતિવા અને આતંકવાદની પ્રવૃત્તિઓને ટેકો આપવાનું બંધ કરે તે જ સાચી રામભક્તિ છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ મેં રામ ઔર બગલ મેં છુરી આ પ્રકારની માનસિકતા ધરાવતી કોંગ્રેસને સમગ્ર દેશની જનતાએ ઓળખી લીધી છે.

(12:45 am IST)