ગુજરાત
News of Friday, 1st June 2018

ગુજરાત સરકાર હવે બિનઅનામત વર્ગની માફક અનામત વર્ગને પણ પ્રમાણપત્ર આપશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે હવે બિનઅનામત વર્ગની માફક અનામત વર્ગને પણ પ્રમાણપત્ર આપશે. સરકાર દ્વારા સવર્ણો માટે જાહેર કરાયેલી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણપત્ર કામમાં લાગશે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન બાદ સરકારે બિન અનામત વર્ગ આયોગ તેમજ નિગમની રચના કરી છે, જેણે સવર્ણો માટે વિવિધ ભલામણો કરેલી છે.

બિન અનામત આયોગ દ્વારા તાજેતરમાં જ સરકારને ભલામણ કરાઈ હતી કે, જીપીએસસીની પરીક્ષામાં બેસવા માટે સવર્ણો માટે પણ વયમર્યાદા વધારવામાં આવે, તેમજ એસસીએસટી સ્ટૂટન્ડ્સ માટે બનાવાયેલી સમરસ હોસ્ટેલમાં જો જગ્યા ખાલી પડે તો સવર્ણોને પણ પ્રવેશ અપાય. આ સિવાય પણ આયોગ દ્વારા ઘણી ભલામણ કરવામાં આવી છે.

ગુજરાત સરકારે રાજ્યના બિનઅનામત વર્ગો જેવા કે, પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, લોહાણા, સોની, ખમાર, મહેશ્વરી વગેરે અંદાજે 58 જેટલી જ્ઞાતિઓના શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબોના સર્વાગી ઉતકર્ષ માટે પ્રયાસ શરુ કર્યા છે, જેના માટે રૂ.506 કરોડની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

બિન અનામત સવર્ણ આયોગ દ્વારા અનામત વર્ગના લોકોને જ નોકરી તેમજ અભ્યાસમાં મળતા લાભ બિન અનામત વર્ગને પણ મળે તે માટે હવે આયોગ દ્વારા સક્રિય પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં સસ્તા દરે શિક્ષણ લોન ઉપરાંત, ૩૫ જેટલી સરકારી યોજનાનો લાભ આપવા વિચારણા ચાલી રહી છે.

સમગ્ર ગુજરાત રાજયમાં બિન અનામત વર્ગોની જરૂરિયાતને જાણવા માટે રાજય સરકાર તરફથી દરેક જિલ્લામાં સર્વે કરાવવામાં આવશે. જેના માટે દરેક જિલ્લામાંથી વિવિધ પ્રકારના ૫૦૦-૬૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવશે. આ ઉપરાંત, બેથી ચાર ટકાના દરે એજ્યુકેશન લોન, વિદેશ અભ્યાસ માટે લોન આપવા પણ વિચારણા હાથ ધરાઇ રહી છે. આ તમામ બાબતોનો એક રિપોર્ટ બનાવીને બિન અનામત આયોગ સરકારને સુપ્રત કરશે, અને ત્યાર બાદ તેના પર પગલાં લેવાશે.

ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પાટીદારોએ અનામતની માંગ કરી જોરદાર દેખાવો કર્યા હતા. અનામતનો લાભ મેળવવા માટે અન્ય જ્ઞાતિઓ પણ મેદાનમાં આવી હતી. એટલું જ નહીં, પાટીદારોની નારાજગી તો વિધાનસભા ચૂંટણમાં પણ જોવા મળી હતી, અને 150થી વધુ બેઠક જીતવાની વાત કરતા ભાજપે માત્ર 99 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

હવે જ્યારે લોકસભા ચૂંટણીને માંડ એકાદ વર્ષનો સમય જ રહ્યો છે, ત્યારે બિન અનામત વર્ગોના મત પોતાની વિરુદ્ધ ન પડે તે માટે સરકારે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી બાદ ટૂંક જ સમયમાં બિન અનામત આગોય બનાવી દેવાયું હતું, અને હવે સવર્ણોને અનામત જેવા લાભ આપવા પણ વિચારણા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. જોકે, વિધાનસભા ચૂંટણીમાં પક્ષનો ધબડકો થતાં આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે આમ પણ કપરાં ચઢાણ મનાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ક્યાંક અનામતનો મુદ્દો ન નડી જાય તે માટે અત્યારથી જ તૈયારી શરુ કરી દેવાઈ છે.

(9:51 am IST)