અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજન અને ICUના માત્ર 280 બેડ જ ખાલી
વી એસ હોસ્પિટલમાં માત્ર 1 જ બેડ ખાલી ધન્વંતરિ હોસ્પિટલમાં પણ બહાર સ્ક્રીન પર બેડ ફૂલ હોવાનું દર્શાવાયું : ટોકન આપવાના બંધ કરી દેવાયા
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત દર્દીઓને ઑક્સિજન બેડની વધારે જરૂરી પડી રહી છે, પરંતુ શહેરની લગભગ તમામ હોસ્પિટલોમાં ઑક્સિજન બેડ ખૂટવા લાગ્યાં છે.
અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજન અને ICUના માત્ર 280 બેડ જ ખાલી છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં એક માત્ર વી એસ હોસ્પિટલમાં માત્ર 1 જ બેડ ખાલી છે.
જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ છેલ્લા 2 દિવસથી ફૂલ છે. આથી હોસ્પિટલની બહાર તાળું મારી દેવામાં આવ્યું છે. તેમજ આજે ધન્વંતરિ હોસ્પિટલમાં પણ બહાર સ્ક્રીન પર બેડ ફૂલ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું હતું. જેના કારણે અહીં ટોકન આપવાના બંધ કરી દેવામાં આવ્યા હતા
શહેરમાં ઓક્સિજન અને આઇસીયુ બેડની હાલત નીચે મુજબ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી એસ હોસ્પિટલ માં 1 બેડ ખાલી, જયારે એસવીપી હોસ્પિટલ, એલ.જી હોસ્પિટલ તેમજ શારદાબેન હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 172 ખાનગી હસ્પિટલમાં 156 બેડ ખાલી છે. 212 નર્સિંગ હોમમાં 83 બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલમાં 40 બેડ ખાલી છે. ESIC હોસ્પિટલમાં 0 બેડ ખાલી છે. આમ ટોટલ 280 બેડ ખાલી છે.