ખેડા જિલ્લામાં લોકડાઉનના પગલે અનાજ કરિયાણાના ભાવમાં 20 ટકાનો વધારો થઇ જતા મધ્યમવર્ગીય પરિવાર મુશ્કેલીમાં મુકાયો
ખેડા:જિલ્લામાં લોકડાઉનના પગલે અનાજ કરિયાણાના ભાવ વધતા મધ્યમવર્ગીય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ આવા વેપારીઓ પોતાને નફો ન મળવાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. એકતરફ કોરોનાની મહામારીને કારણે આવક બંધ થઇ છે ત્યારે બીજી તરફ જીવનજરુરીયાતની ચીજવસ્તુઓના ભાવ ૨૦ ટકા જેટલા વધતા લોકો હેરાનપરેશાન બન્યા છે.
વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. ખેડા જિલ્લામાં ૨૧ દિવસના આ લોકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થયા છે. જેને કારણે પરિવારોની આવક પણ બંધ થઇ છે. એક બાજુ સરકાર દ્વારા મફત અનાજ કરિયાણાની સહાય જાહેર થાય છે. ત્યારે બીજી તરફ ૨૦ ટકાથી વધારે ભાવે અનાજ કરિયાણાનું વેચાણ થઇ રહ્યંું છે. જીવન જરુરીયાતની દરેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. જે વસ્તુ લોકડાઉન પહેલા જેભાવે વેચાતી હોય તે વસ્તુના ભાવમાં સરેરાશ ૧૫ થી ૨૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.