હિંમતનગરમાં જવેલર્સને નિશાન બનાવી તસ્કરોએ લાખથી વધુની મતાની ઉઠાંતરી કરી
હિંમતનગર:શહેરમાં મહાવીરનગરના મહાકાલી મંદિર રોડ પર આવેલ એક કોમ્પલેક્ષની જવેલર્સની દુકાનને શિયાળાની કડકડતી ઠંડીમાં બુધવારે રાત્રીના સુમારે તસ્કર ગેંગે નિશાન બનાવી રૂ.૨ લાખથી વધુની કિંમતના સોના, ચાંદીના દાગીના, ચાંદીના વાસણો તેમજ ટીવી સહિતની માલમત્તા ચોરી રફુચક્કર થઇ જતા શહેરના જ્વેલર્સોેમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાઇને વહેલા ઘરમાં ભરાઇ જતા હિંમતનગર સહિત જિલ્લાભરમાં તસ્કર ગેંગો પુનઃ સક્રિય બની છે. હિંમતનગર સહિત જિલ્લાના અનેક શહેરોમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી સહિતની ઘટનાઓ દિનપ્રતિદિન વધતા રહીશોમાં ફફડાટ વ્યાપ્યો છે. હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારમાં મહાકાલી મંદિર રોડ પર આવેલ એક કોમ્પલેક્ષમાં સંસ્કાર જવેલર્સની દુકાનને તસ્કર ગેંગે બુધવારે રાત્રિના સમયે નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોએ દુકાનમાં ઘૂસી ચાંદીની ડીસ, મૂર્તિ સહિતના વાસણો, સોના,ચાંદીના દાગીના, ચાંદીના તાર, ચાંદીનો ભંગાર અને ટીવી સહિત કુલ રૂ.૨ લાખથી વધુની માલમત્તા ચોરી રફુચક્કર થઇ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતા જવેલર્સના માલિકે દુકાને આવી તપાસ કરતા દુકાનમાં બધુ અસ્ત વ્યસ્ત નજરે પડતા તેમજ ચાંદીના કેટલાક દાગીના, વાસણો, સોનાની ચૂની સહિતની ચીજવસ્તુઓ ગુમ જણાતા ચોરી થયાનું ધ્યાને આવ્યુ હતું.