Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સાણંદ તાલુકામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા "સ્વસ્થ માતા તો સલામત બાળ" કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

પોષણયુક્ત આહાર તરીકે શુદ્ધ ઘીની સુખડી તેમજ ધાબળા આપવામાં આવ્યા : સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : માનવ સેવા ટ્રસ્ટ દ્વારા "સ્વસ્થ માતા તો સલામત બાળ" કાર્યક્રમ કુંવાર ગામ ખાતે ઉજવવામાં આવ્યો હતો. સહયોગી સંસ્થા તરીકે નવજીવન ડૉક્ટર હાઉસ, આરોગ્ય વિભાગ સાણંદ અને આઈ.સી.ડી.એસ. સાણંદ  જોડાયા હતા. સાણંદ તાલુકાના ૧૭ ગામની ૩૦૭ જેટલી સગર્ભાઑને આવરી લેતો" સ્વસ્થ માતા તો સલામત બાળ" કાર્યક્રમનો પાંચમો  બુધવાર છારોડી ગામ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ ગામની ૨૧ સગર્ભા બહેનોનું આરોગ્ય ચેક અપ કરવામાં આવ્યું હતું. આ સાથે પોષણયુક્ત આહાર તરીકે શુદ્ધ ઘીની સુખડી તેમજ ધાબળા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નવજીવન ડૉકટર હાઉસની સહાયતાથી ગાયનેક ડૉ.રીન્કુ દ્વારા તમામ સાગર્ભાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે જરૂર જણાય તો ફ્રી માં સોનોગ્રાફી કરવાની રસીદ પણ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત, તાલુકા હેલ્થ ઑફિસર ડૉ. સંધ્યાબેન રાઠોડ, ડૉ. તેજસ દલવાડી, મુખ્ય સુપરવાઇઝર જાનકી ગઢવી, મનુભાઈ બારોટ અને આંગણવાડી કાર્યકર  તથા આશા બહેન હાજર રહ્યા હતા. આ રીતે દર બુધવારે નળકાઠાંના ૧૭ ગામડાઓમાં આવી સેવાઓ આપવામાં આવશે તેમ સંસ્થાએ જણ્વાયુ હતુ. (તસવીર : ચિરાગ પટેલ – સાણંદ)

(7:29 pm IST)