Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગાંધીનગર-સરખેજ હાઇવે પર રસ્તો ઓળંગી રહેલ વૃદ્ધાને ટેમ્પો ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર : ગાંધીનગર-સરખેજ હાઈવે ઉપર અડાલજ પાસે ગઈકાલે સાંજના સમયે રસ્તો ઓળંગી રહેલા વૃધ્ધાને વૈષ્ણોેદેવી તરફથી પુરઝડપે આવી રહેલા ટેમ્પોના ચાલકે અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર સિવિલમાં લવાયા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે અકસ્માત સર્જી ટેમ્પો મુકી ફરાર થઈ ગયેલા તેના ચાલકની શોધખોળ આદરી છે.   

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે ગઈકાલે સાંજે સરખેજ-ગાંધીનગર હાઈવે ઉપર ટેમ્પોની અડફેટે વૃધ્ધાનું મોત નીપજયું હતું આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ ખાતે આવેલી રોયલ રેસીડેન્સીના મકાન નં.જે-૧૦૪માં રહેતાં ૭૫ વર્ષીય વૃધ્ધા ફુલીબેન અન્નાજી પ્રજાપતિ ગઈકાલે તેમના ભાઈના ઘરે ગોતા જવા માટે નીકળ્યા હતા અને જયાંથી તેઓ સાંજે પરત ફર્યા હતા. રીક્ષામાંથી ઉતરીને તેઓ માર્ગ ઓળંગી રહયા હતા તે દરમ્યાન વૈષ્ણો દેવી તરફથી આવતાં ટેમ્પો નં.જીજે-૦૧-બીઝેડ-૮૪૯૮ના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ફુલીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ટેમ્પોનો ચાલક અકસ્માત સર્જી ટેમ્પો ત્યાં જ મુકીને નાસી છુટયો હતો. ૧૦૮ એમ્બયુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ ઉપરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.અકસ્માતની ઘટના અંગે તેમના પુત્ર બાબુભાઈ પ્રજાપતિની ફરીયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ટેમ્પોના ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

(6:08 pm IST)