Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

અમરાઇવાડી-મણિનગરમાં ૮.૨૦ લાખની ચોરી કરાઈ

અમદાવાદ શહેરમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે : મણિનગર ખાતે કંચન વાટિકા એપાર્ટમેન્ટમાં પણ તસ્કરો ર.૬૭ લાખના દાગીના સહિત રોકડ ચોરી પલાયન થયા

અમદાવાદ,તા. ૧૭ : શહેરના અમરાઇવાડી અને મણિનગર વિસ્તારમાં તસ્કરો ૮.ર૦ લાખના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઇ જતાં આ વિસ્તારોમાં ભારે ચકચાર મચી ગઇ છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ત્રિવેદીપાર્ક સોસાયટીમાં રહેતા અને અમરાઇવાડીમાં ઇલેકટ્રોનિકનો શોરૂમ ધરાવતા ભાર્ગવભાઇ પટેલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. શનિવારે ભાર્ગવભાઇ અને તેમના ભાગીદાર ભાવિકભાઇ દુકાનનું લોક મારીને ઘરે ગયા હતા. રવિવારે સવારે ભરતભાઇ નામની વ્યકિતએ દુકાન ખોલી હતી, જ્યાં દુકાનની અંદર મોબાઇલ ફોનના બોક્સ જ્યાં-ત્યાં પડ્યાં હતાં. ભરતભાઇએ તાત્કાલિક દુકાનના માલિક ભાર્ગવભાઇ અને ભાવિકભાઇને ફોન કરીને બોલાવી લીધા હતા. બન્ને જણાએ દુકાને આવીને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તો રવિવારે વહેલી પરોઢે ચાર શખ્સો તેમની દુકાન પાસે આવ્યા હતા, જેમાંથી એક શખ્સ દુકાનનું શટર ઊંચું કરીને અંદર ઘૂસ્યો હતો અને ર.૮૪ લાખના ર૦ મોબાઇલ ફોન અને ડ્રોઅરમાં પડેલા ર.૬૯ રૂપિયા ચોરી કર્યા હતા. ભાર્ગવભાઇએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમઘમાટ શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગણતરીના દિવસો પહેલાં આશ્રમરોડ પર આવેલા એક ઇલેટ્રોનિક્સના શોરૂમમાંથી લાખો રૂપિયાના મોબાઇલ ફોનની ચોરી થઇ હતી. દરમ્યાન અન્ય બનાવમાં, મણિનગર વિસ્તારમાં આવેલ કંચન વાટિકા એપાર્ટમેન્ટમાં પણ તસ્કરોએ ર.૬૭ લાખના સોના-ચાંદીના દાગીના સહિત રોક્ડ રકમની ચોરી કરી છે. કંચન વાટિકામાં ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા રંજનબહેન વ્યાસ એકલાં રહે છે. શનિવારે સવારે રંજનબહેન તેમની પુત્રીના ઘરે ગયાં હતાં. એક દિવસ ત્યાં રોકાઇને બીજા દિવસે સવારે તેમના ઘરે આવ્યાં તો તેમના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં રહેલો સરસામાન ચોરી થઇ ગયો હતો. તસ્કરોએ રંજનબહેનના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોક્ડ રકમ સહિત ર.૬૭ લાખના મતાની ચોરી કરી હતી. મણિનગર પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(7:20 pm IST)