Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

'નિષ્ક્રીય'ને હટાવી 'સક્રિય'ને હોદ્દા આપશે કોંગ્રેસ

પ્રદેશ પ્રમુખ ચાવડા અને વિપક્ષી નેતા ધાનાણીએ બેઠકમાં રાહુલનો 'રવૈયો' સ્પષ્ટ કર્યો : પક્ષમાં રહીને હવનમાં હાડકા નાખનારાઓ સામે કડક કાર્યવાહીઃ કોંગ્રેસમાં હવે 'નયા જમાના'!!

રાજકોટ તા. ૧૯ : જનસંપર્ક અભિયાન હેઠળ રાજ્યભરના પ્રવાસમાં રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ તમામ સ્થળે કોંગ્રેસની બેઠકમાં ટોચના આગેવાનોની હાજરીમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે નિષ્ક્રીય હોવા છતાં હોદ્દાઓ ઉપર રહેલા નેતાઓને સક્રિય થવું પડશે કાંતો હોદ્દો છોડવો પડશે. પક્ષમાં રહીનેપક્ષની ઘોર ખોદનારાઓ પણ સાનમાં સમજી જાય નહી તો બરતરફીનો વખત આવશે. કોંગ્રેસની વિસ્તૃત કારોબારીમાં તથા તમામ જિલ્લાની કાર્યકર બેઠકોમાં બંને આગેવાનો જુગલબંધી સાથે સ્પષ્ટપણે વર્તારો આપી રહ્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીના ભાવી નિર્ધારનો સંદેશો પણ આપી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસ પક્ષમાં કામ કરનાર કાર્યકરોને મહત્વ મળશે અને કામ ન કરનારને હોદ્દા પરથી દુર કરાશે. પક્ષમાં શિસ્ત અને સંયમ સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા માટે કામ કરનારને પક્ષમાં અગત્યની જવાબદારી સોંપાશે. સૌ સાથે મળીને લોકસભા – ૨૦૧૯ માં કામગીરી કરવાની છે અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના છે. ભાજપની નકારાત્મક સામે કોંગ્રેસ પક્ષ હકારાત્મક કામગીરી કરશે. ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ બૂથ મેનેજમેન્ટ પર સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. બૂથદીઠ બે જનમિત્રને પંસદ કરીને આગામી દિવસોમાં તેઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાશે. આગામી ૪૫ દિવસમાં તાલુકા અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના સંગઠનમાં આમૂલ પરિવર્તન કરાશે.'

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુકત પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદનું આયોજન થયું હતું.

આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 'હું અખાત્રીજના દિવસે રાહુલ ગાંધીનો સંદેશો લઈ આવ્યો છું. દૂધમાં લીંબુ નાંખનારા સમજી લેજો. અમને વલોવી છાશ બનાવતા અને છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવતા આવડે છે. કાર્ડ છપાવીને ફરતા નેતાઓને હાંકી કાઢવા છે. કામ કરતા કાર્યકરોને જ આગળ લાવવા છે. ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન નથી માટેચૂંટાયેલી પાંખે સંગઠનમાં સંકલન કરવું પડશે. સંગઠનનું સશકિતકરણ કરવું પડશે. નવા યુવાનો જોડવા પડશે હોશ અને જોશથી સંગઠનનું સમન્વય કરીશું. આંદોલનમાંથી કોંગ્રેસનો જન્મ થયો છે માટે આંદોલનો કરવા તૈયાર રહેવું પડશે.'

(1:01 pm IST)