Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોમવારે સંવેદના દિવસઃ ઢગલાબંધ સેવાસેતુ

મુખ્યમંત્રીના જન્મ દિવસની શાનદાર ઉજવણી થશેઃ કલેકટર, કોર્પોરેશન, પોલીસ તંત્રની દોડધામ : દિવ્યાંગ, વૃદ્ધ પેન્શન, આધારકાર્ડ, લગ્ન સહાય, એસ.ટી. બસ પાસ સહિત કુલ ૫૩ યોજનાનો સ્થળ ઉપર નિકાલ અને સર્ટીફીકેટ અપાશે : અનાથ બાળકો અને તેમના પાલક વાલીઓને બોલાવાયાઃ કીટ વિતરણ કરાશેઃ એક વાલી ગુમાવનાર બાળકને ૨ હજારની પેન્શન સહાય યોજનાના સ્થળ ઉપર જ હુકમો અપાશેઃ જીલ્લા કલેકટરનું ખાસ માર્ગદર્શન

રાજકોટ, તા. ૩૧ :. સોમવારે રાજ્યના મુખ્યમંત્રી રાજકોટમાં છે. તેમનો શાનદાર જન્મ દિવસ સંવેદના દિવસ તરીકે ઉજવાશે અને તે સંદર્ભે રાજકોટ શહેર-જીલ્લામાં ઢગલાબંધ સેવાસેતુ, વૃક્ષારોપણ, અનાથ બાળકો સાથે ભોજન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા છે. સોમવારના કાર્યક્રમ અંગે કલેકટર, કોર્પોરેશન, પોલીસ તંત્રના અધિકારીઓને દોડધામ થઈ પડી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં પાંચ વર્ષ સંવેદના અને નિર્ણાયકતા સાથે સફળતા પૂર્વક પુર્ણ કરવાના અવસરે તા. ૨ જી ઓગષ્ટે રાજયભરમાં સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવશે.

આ દિવસે દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ અને નગરપાલીકા વિસ્તારમાં જરૂરીયાત મંદ લોકો જેવાકે દિવ્યાંગ, નિરાધાર વૃધ્ધો તથા વાલી ગુમાવનાર અનાથ બાળકો કે એક વાલી ગુમાવનાર બાળકો પ્રત્યે વિશેષ સંવેદના દાખવી તેઓને મળતા યોજનાકીય લાભો અને અરજીઓનો મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં સ્થળ સેવાસેતુ કેમ્પનું આયોજન દ્વારા નિકાલ કરી લાભાન્વીત કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં આ ઉજવણી અન્વયે યોજનાર સેવાસેતુ કેમ્પમાં સવારે ૧૧-૦૦ કલાક થી સાંજના ૬-૦૦ કલાક સુધીના સમયબધ્ધ કાર્યક્રમનું આયેાજન કરી વિવિધ સંબંધીત વિભાગો દ્વારા નિરાધાર વૃધ્ધોને પેન્શન, દીવ્યાંગ  પેન્શન, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, એસ.ટી. બસ પાસ, સંત સુરદાસ યોજનાની અરજીઓનો સ્થળ પર નીકાલ કરવામાં આવશે. સ્થળ પર નિકાલ ન થઇ  શકે તેવા કીસ્સામાં દિવસ ૧૫માં આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. રાજકોટ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના વાલી ગુમાવનાર અનાથ બાળકોના પાલક વાલીઓ ઉપસ્થીત રહેનાર છે.  આ ઉપસ્થીત દરેક અનાથ બાળક અને વાલીઓ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવો સંવેદનાસભર મુલાકાત લઇ  કિટ વિતરણ કરશે અને  તાજેતરમાં અમલી બનેલ એક વાલી ગુમાવનાર બાળકોને રૂ. ૨૦૦૦/- પેન્શન સહાય મંજુરીના હુકમોને  સ્થળ પર જ એનાયત કરાશે.

ચોમાસાની ઋતુને અનુલક્ષીને વિશાળ સંકુલ ધરાવતી  શાળા- મકાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની પરિસ્થીતને અનુલક્ષીને સોશીયલ ડીસ્ટન્સ જાળવવા સાથે માર્ગદર્શક નિયમોનું પાલન કરવામાં આવશે. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તા.૨ ઓગસ્ટ,૨૦૨૧ના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:49 am IST)