Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ગુજરાતમાં હિકા વાવાઝોડુ ત્રાટકવાની શકયતા : જખૌ બંદરે કર્મચારીઓ સતર્ક

બોટોને પરત બોલાવાઇ રહી છે : નવી બોટોને દરીયો ખેડવા જવા નહિ દેવાનો નિર્ણય

કચ્છ: ગુજરાત પર હિકા વાવાઝોડા નું સંકટ તોળાઈ રહ્યું છે. ભારત માથે જાણે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંકટ બાદ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને એમ્ફાન નામનાં વાવાઝોડાએ ધમરોળ્યું હતું. ત્યાં ફરી એકવાર ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં નવું તોફાન સર્જાઇ રહ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડુ 3-4 જૂન વચ્ચે ગુજરાતના દરિયા કાંઠે અથડાઇ શકે છે. જખૌ મત્સ્ય બંદરે તકેદારીના પગલાં લેવાયા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી 100 બોટ પરત બોલાવવામાં આવી છે. બે મહિના સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકાયો છે.

આગામી ચોથી પાંચમી જૂન દરમિયાન ગુજરાતનાં દ્વારકા, ઓખા, મોરબી અને કચ્છ તરફ વાવાઝોડુ ફંડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો ડિપ્રેશન છે પરંતુ ધીરે ધીરે તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. દ્વારકા કચ્છ કંડલા સહિતનાં વિસ્તારોને ધમરોળીને રાજસ્થાન તરફ ફંટાઇ જશે. જો કે રાજસ્થાનમાં તેની અસર નહીવત્ત રહેશે ત્યાં તે લગભગ વિખેરાઇને શાંત પડી જશે. આ આગાહી એક ખાની એજન્સી વીન્ડી દ્વારા કરવામાં આવી છે.

જો કે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તે અનુસાર ગુજરાતમાં વાવાઝોડુ આવે તેની શક્યતા નહીવત્ત છે. હવામાન વિભાગે આ વાતાવરણને ચોમાસા માટે ખુબ જ સાનુકુળ ગણાવ્યું છે. હવામાને વિભાગના અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય જરૂર થશે અને તે ડિપ ડિપ્રેશનમાં પણ ફેરવાશે પરંતુ તેના કારણે ચોમાસાને ખુબ ફાયદો થશે. દરિયા કિનારાના વિસ્તારોમાં સમુદ્ર સામાન્ય તોફાની થઇ શકે છે પરંતુ વાવાઝોડાની કોઇ જ શક્યતા નથી. ચોમાસુ ગુજરાતમાં યોગ્ય સમયે અને ખુબ જ સારી રીતે બેસવાનો સંકેત છે.

હાલ તો હવામાન વિભાગ અને ખાનગી સંસ્થા વાવાઝોડા અંગે અલગ અલગ આગાહીઓ કરી રહી છે. હવે સાચુ કોણ પડે છે તે તો આગામી સમય જ જણાવશે. પરંતુ તંત્ર અને નાગરિકો તમામ પ્રકારે તૈયાર રહે તે જરૂરી છે. ચેતતો નર સદા સુખી તે કહેવત અનુસાર તમામ પરિસ્થિતીને અનુરૂપ તૈયારી રાખવી જરૂરી છે. તંત્ર ઉંઘતુ ન ઝડપાય તે જરૂરી છે.

(3:50 pm IST)