Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

૧૦ લાખ જૈન દ્વારા ઓનલાઈન કનેક્ટ થઈને નવકારમંત્ર જાપ

કોરોનાથી મુક્તિ માટે ૯૯ કરોડ નવકારમંત્રનો જાપ : ઇવેન્ટનું સોશિયલ મિડિયા અને નવકાર પરિવારની વેબસાઈટ તથા કેટલીક ટીવી ચેનલ્સ દ્વારા પ્રસારણ કરાયું

અમદાવાદ, તા. ૩૧  : કોરોના મહામારીના સંકટ સામે વિજ્ઞાનની સાથે સાથે ધર્મ પણ લોકોનો આશરો બની રહ્યો છે. આ મહામારીથી બચવા માટે દરેક ધર્મના વ્યક્તિઓ પોતપોતાની શ્રદ્ધા અનુસાર વિશ્વની પરમશક્તિને પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે જૈન ધર્મના અનુયાયીઓ પણ રવિવારે ૯૯ કરોડ વાર નવકાર મંત્રનો જાપ કરીને વિશ્વ આ મહામારીથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી. આ ઉમદા હેતુ સાથે આજે રવિવારે સવારે ૮.૪૧ વાગ્યાથી બપોરે ૧૨.૪૧ વાગ્યા સુધી એટલે કે ચાર કલાક માટે સમગ્ર વિશ્વના જુદા જુદા ખૂણામાંથી આશરે ૧૦ લાખ જેટલા જૈન ધર્માનુયાયીઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર ભેગા થઈને આ નવકારમંત્રનો જાપ કર્યા. વિશ્વને કોરોના મહામારીથી મુક્ત કરવા માટે કરવામાં આવનાર આ સમૂહ મહાપ્રાર્થનાની અસર ખરેખર દિવ્ય રહેશે તેવું જણાવતા જૈનાચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે જ્યારે પણ ભગવાનનું નામ એક સાથે સમૂહમાં લેવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે.

            આ પ્રયાસથી કોવિડ-૧૯ની બીમારી જ દૂર થશે તેવું નથી પણ પ્રભુનામના કારણે વિશ્વ શાંતિ પણ ફેલાશે. આ સમગ્ર ઇવેન્ટનું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, નવકાર પરિવારની વેબસાઈટ કેટલીક ટીવી ચેનલ્સ દ્વારા પ્રસારણ કરાયું. આ સમગ્ર કાર્યક્રમમાં લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન કનેક્ટ કરવાનું કામ અમદાવાદના ધોળકિયા સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું. ધોળકિયા સ્ટુડિયોના અલ્પેશ ધોળકિયાએ કહ્યું કે, અમે દુનિયાના ૧૦૦૦ જેટલા અલગ અલગ સ્થળેથી સાધુ સાધ્વીઓ અને ભક્તોને આ મહાજાપ માટે એકબીજા માટે કનેક્ટ કર્યા અને તેમના આ જાપના વિઝ્યુઅલ જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યા. આચાર્ય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજે  કહ્યું કે, આ નવકારમંત્ર મહાજાપમાં દેશ-દુનિયાથી ડોક્ટર્સ પણ જોડાયા. આ રીતે સમૂહમાં કરવામાં આવેલી પ્રાર્થનાથી સમગ્ર દુનિયા પર તેની ખૂબ જ પોઝિટીવ અસર પડશે.

          કેમ કે આ રીતે સમૂહ પ્રભુ ભજનથી ખૂબ જ મોટી માત્રામાં પોઝિટીવ એનર્જી બહાર પડે છે. જેનાથી ચોક્કસ કોવિડ-૧૯ની મહામારીને હરાવવામાં દુનિયાને સહાયતા મળશે. આ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ્ડ કરનાર નવકાર પરિવારના ધર્મેશ શાહે કહ્યું કે, આ ચાર કલાકની પ્રાર્થના સભામાં એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના ખંડોમાંથી જૈનધર્માનુયાયીઓ ભાગ લેશે. તેમણે કહ્યું કે, અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેન્યા, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ, મસ્કતમાંથી અંદાજે ૧૦-૧૨ લાખ લોકો આ સામૂહિક મંત્ર જાપમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તમામ લોકો શ્વેત રંગના કપડાં પહેર્યા હતા. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ૧૦૦૦ જેટલા સાધુ-સાધ્વીઓ આ મહાપ્રાર્થના સભામાં ભાગ લીધો અને નવકાર મહામંત્રનો ૯૯ કરોડ ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ વાર જાપ કરાયા.

(8:10 pm IST)