Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પતિના પરસ્ત્રી સાથેના સંબંધથી કંટાળી કરમસદની પરિણીતાએ ઝેર ગટગટાવ્યું

આણંદ: નજીક આવેલા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ક્વાર્ટર્સમાં રહેતી એક પરિણીતાએ પતિના પરસ્ત્રી સાથેના સંબંધોને લઈને ગુજારવામાં આવતા શારીરિક તેમજ માનસિક ત્રાસને કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાલી ગામે રહેતા ફરિયાદી લલીતાબેન કનુભાઈ પરમારની પુત્રી ઉષાબેનના લગ્ન ૧૬ વર્ષ પહેલાં દહીપ ગામે રહેતા અશોકભાઈ વિનોદભાઈ ઉર્ફે લાલજીભાઈ પરમાર સાથે થયા હતા. શરૂના છ વર્ષ બન્ને જણાં નડીઆદ ખાતે રહેતા હતા જે દરમ્યાન બે સંતાન પ્રાપ્તી પણ થઈ હતી. પરંતુ અશોકભાઈને ત્યારબાદ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નોકરી મળતાં તેઓ કરમસદ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવા ગયા હતા. જ્યાં કહેવાય છે કે ડાયાલીસીસ વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતી મમતાબેન સાથે અશોકને પ્રેમસંબંધ થઈ જવા પામ્યો હતો. જેને લઈને પતિ દ્વારા પરિણીતાને મારઝુડ કરીને ત્રાસ ગુજારવામાં આવતો હતો. ઉષાબેન રીસાઈને પીયર જતા રહેતા પીયર પક્ષના સભ્યો દ્વારા તેણીને સમજાવીને પરત મુકી આવતા હતા. 
દરમ્યાન પતિના પરસ્ત્રી સાથેના સંબંધે માઝા મુકી દેતાં ઉષાબેને સાસુ નાથીબેન, સસરા વિનોદ ઉર્ફે લાલજીભાઈ પરમાર તથા જેઠ નગીનભાઈને વાત કરતાં તેઓ દ્વારા પણ પતિનું ઉપરાણું લઈને તેણી પર ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો. જેથી ગત ૨૮મી તારીખના રોજ ઉષાબેને પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે લલિતાબેનની ફરિયાદને આધારે પાંચેય વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(5:25 pm IST)