Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ધંધુકા સ્થિત ઐતિહાસિક 'રેસ્ટ-હાઉસ' મુલાકાતે જૈનાચાર્ય રાજયશસૂરીશ્વર

ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય 'છેલ્લી પ્રાર્થના'નું પઠન કરીને યુવા પેઢીને રાષ્ટ્રભાવનાની પ્રેરણા આપી

અમદાવાદ તા. ૩૧ : અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ — ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ — ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 'સિંધુડો'માંથી  'હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ' ('છેલ્લી પ્રાર્થના') ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત વિશાળ માનવ મેદની તથા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની થઈ. ઝવેરચંદ મેઘાણીને ૨ વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રખાયા. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.    

એ સમયે 'ડાક બંગલા'તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં 'રેસ્ટ-હાઉસ'માં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીના ભાવભર્યાં નિમંત્રણને માન આપીને જૈનાચાર્ય શ્રી લબ્ધી-વિક્રમ ગુરૂકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થ ઉધ્ધારક, પ્રખર પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વર મ.સા. આ ઐતિહાસિક રેસ્ટ-હાઉસની મુલાકાતે પધાર્યા હતા. પૂ. રત્નયશ મ.સા., પૂ. વજ્રયશ મ.સા., પૂ. વિશ્રુતયશ મ.સા., પૂ. દેવેયશ મ.સા., પૂ. વિતરાગયશ મ.સા., પૂ. યશેશયશ મ.સા., પૂ. કર્તવ્યયશ મ.સા. તથા પૂ. સાધ્વીવર્યા ગીતપદ્માશ્રીજી મ.સા. આદિ ઠાણા ૨૫ સાધ્વીજી ભગવંતો પણ સાથે પધાર્યાં હતા. પિનાકી મેઘાણી  ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાધનાનાં સેક્રેટરી ભરતભાઈ મિ સ્ત્રી, પાંજરાપોળના પ્રમુખ અને જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ ગાંધી, ગુજરાત રાજય શાળા સંચાલક મંડળનાં પ્રમુખ નારણભાઈ પટેલ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, મુકુન્દભાઈ વઢવાણા, લલિતભાઈ વ્યાસ સહિત ભાવિકોએ જૈનાચાર્યનું સાદર સ્વાગત કર્યું હતું.          

આજથી ૮૮ વર્ષ પૂર્વે બનેલી આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના વિશે પિનાકી મેઘાણીએ સહુને સવિસ્તાર રસપ્રદ માહિતી આપી હતી. જે  ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં પ્રસ્થાપિત 'મેઘાણી ઓટલો', પ્રાંગણમાં સ્થાપિત ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર-હસ્તાક્ષરવાળી આકર્ષક 'મેઘાણી તકતી'તથા પરિસરમાં લાગેલ દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન જૈનાચાર્ય પ. પૂ. રાજયશસૂરીશ્વર મ.સા.એ રસપૂર્વક નિહાળ્યું હતું. ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય 'છેલ્લી પ્રાર્થના'નું પઠન કરીને જૈનાચાર્યએ યુવા પેઢીને રાષ્ટ્રભાવનાની પ્રેરણા પણ આપી હતી. જૈન-કુળમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં પ્રથમ કાવ્યની રચના કરી હતી. નિધનના સાત દાયકા પછી આજે પણ ઝવેરચંદ મેઘાણીનું જીવન-કવન નવી પેઢી માટે પ્રેરણાદાયી છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં ઝવેરચંદ મેઘાણીનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેમ તેઓએ લાગણીભેર જણાવ્યુ હતુ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સ્મૃતિ સ્થળો જીવંત સ્મારક તરીકે વિકાસ પામે તેવી વિશેષ લાગણી જૈનાચાર્ય પ. પૂ. રાજયશસૂરીશ્વર મ.સા.એ વ્યકત કરી હતી. આ અંગે ગુજરાત રાજયનાં સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી અને જૈન-કુળમાં જન્મેલાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને પણ તેઓએ અપીલ કરી છે.   

જૈનાચાર્ય પ. પૂ. રાજયશસૂરીશ્વર મ.સા.નાં આગામી ચાતુર્માસનું આયોજન તપોભૂમિ પાલીતાણા ખાતે થયું છે.  રાષ્ટ્રીય-ભાવના ધરાવતા પરિવારમાં જન્મેલા શાસનસેવિકા પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.), જેમણે શૈશવમાં શાળામાં ઝવેરચંદ મેઘાણીને પ્રત્યક્ષ ગાતાં સાંભળ્યાં હતાં, તેમને પાલીતાણા ખાતે 'પ્રવર્તીની'ની પદવી પ્રદાન કરવામાં આવશે.

(1:10 pm IST)