Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજ્યમાં સૌથી વધુ ૨૫ કેસો શહેરમાં નોંધાતાં તંત્ર ચિંતિત

અમદાવાદમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા : કોરોના પોઝિટિવ આવેલા યુવાનના પરિવાર તેમજ સાથે કામ કરનાર સહિત ૧૦ જણાને હોમ ક્વોરન્ટાઇન કરાયા

અમદાવાદ,તા.૩૧ : અમદાવાદ શહેરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોની આંકડો ૨૫ પર પહોંચી ગયો છે. જેને લઇ હવે સ્થાનિક અમ્યુકો અને આરોગ્ય તંત્ર ચિંતિત બની રહ્યું છે. કારણ કે, કોરોનાના કેસો સામે આવ્યા ત્યારથી પોઝિટિવ કેસોની સંખ્યામાં અમદાવાદ ટોપ પર રરહ્યું છે, અને તેના કારણે તંત્રની સાથે સાથે નગરજનોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. આજે નોંધાયેલા બે કેસ પૈકી એક અમદાવાદ શહેરનો અને બીજો ગ્રામ્યનો છે. તો રાજ્યમાં આંક ૭૩ પર પહોંચ્યો છે. ગઈકાલે અમદાવાદમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. અમેરિકાના એટલાન્ટાથી આવેલા મેમનગરના ૩૯ વર્ષીય યુવકને એસવીપીમાં દાખલ કરવામાં આવ્યો હતો.

        અમદાવાદનો પહેલો કેસ છે જેમાં ૧૭મા દિવસે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. અગાઉ બે વખત યુવકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. મેમનગરમાં રહેતા ૩૯ વર્ષીય યુવક એટલાન્ટાથી પરત આવ્યા બાદ ૨૮ માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતોગાઈડલાઈન મુજબ કોરોનામાં ઈન્ક્યુબેશન પિરિયડ ૧૪ દિવસનો છે. ત્યારે ૧૭મા દિવસે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને ૧૪ દિવસના ઈન્ક્યુબેશન પિરિયડની વાતનો છેદ ઉડી ગયો છે. મેમનગર વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય યુવક ૧૧ માર્ચે અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ ક્વોરન્ટાઇન હેઠળ હતો. તે દરમિયાન તેને તાવ, શરદી સહિતના લક્ષણો જોવા મળ્યા હતા.

       જો કે, જે-તે સમયે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા. ૧૪ દિવસમાં બે વખત લીધેલા નમૂનાના પરીક્ષણમાં તેનો રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હતો. પરંતુ ૨૮ માર્ચે વધુ તાવ આવતાં તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સોમવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેના પરિવારના સભ્યો અને તેની સાથે કામ કરતાં લોકો મળી કુલ ૧૦ને ક્વોરન્ટાઇન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે. પ્રકારે મૂળ રાજકોટના અને અમદાવાદમાં નોકરી કરતાં ૨૮ વર્ષીય યુવક લોકડાઉનના કારણે રાજકોટ પરત ગયો હતો. તેને કોરોનાનો ચેપ લાગેલો હતો. રાજકોટ ગયા પછી યુવક તેના પિતરાઈને મળતાં તેને પણ ચેપ લાગ્યો હતો.

       રાજકોટની હોસ્પિટલમાં પિતરાઈને દાખલ કરતાં તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદમાં વિદેશથી અંદાજે૪ હજાર લોકો છેલ્લા ૨૦ દિવસમાં આવ્યા છે. પૈકીના સંખ્યાબંધ લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. પરંતુ વિદેશથી આવેલા સંખ્યાબંધ લોકો જ્યારે અહીં આવ્યા ત્યારે પેરાસિટામોલથી તાવના લક્ષણો દબાવી રાખ્યા હોવાની મ્યુનિ. હેલ્થ વિભાગને આશંકા છે. જેને પગલે હવે ઘેર-ઘેર સરવેની પણ કામગીરી રૂ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે કોરોનાની ગાઈડ લાઈન્સ મુજબ કોઈપણ દર્દીને ૧૪ દિવસ સુધી તાવ, શરદી, ખાંસી કે અન્ય લક્ષણો દેખાય તો કોરોના હોવાનું માનવામાં આવે છે. પરંતુ પેરાસિટામોલ લઈને તાવના લક્ષણો દબાવી રાખ્યા હોય તો ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પિરિયડ પૂરો થયા પછી પણ કોરોનાના લક્ષણો જોવા મળી શકે છે તેવું હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે, આમ, અમદાવાદમાં ૨૫ કેસો સામે આવતાં સ્થાનિક આરોગ્ય વિભાગ અને અમ્યુકો તંત્રની પણ ચિંતા વધી છે.

(8:54 pm IST)