Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આણંદ નજીક બાકરોલમાં લોકડાઉનના કારણોસર પિયર જવા ન મળતા પરિણીતાએ આપઘાત કરી મોતને વહાલું કરતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ: નજીક આવેલા બાકરોલ ગામે રહેતી એક કોડભરી પરિણીતાએ લોકડાઉનમાં પિયર જવાનું ના મળતાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ભાવનગર ખાતે રહેતી તેજલબેનના લગ્ન બાકરોલની શશાંક સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ચુડાસમા સાથે થયા હતા. થોડા સમય પહેલાં તેણીના ભાઈએ પિતાને ઘરમાંથી ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી પિતાએ તેણીને ફોન કરીને સમગ્ર હકિકત જણાવી હતી. પિતા સાથે પારિવારીક અણબનાવ બનતાં તેણીને લાગી આવ્યું હતુ અને પતિ પાસે પિયર જવાની જીદ્દ પકડી હતી. જો કે હાલમાં લોકડાઉન ચાલતુ હોય તમામ માર્ગ-વ્યવહાર પણ બંધ છે જેથી ભાવનગર જવું લગભગ અશક્ય હોય પતિએ તેણીને હાલ પુરતુ નહીં જવા માટે સમજાવી હતી પરંતુ તેણીને મનમાં લાગી આવ્યું હતું અને રવિવારે બપોરના સુમારે ઘરના ઉપરના માળે જઈને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

(5:55 pm IST)