Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતુ માવઠુઃ ઉત્તર ગુજરાતમાં ઉભા પાકને નુકશાનઃ ઉત્‍પાદનને માઠી અસર

ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરતા સરકારે અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાંથી નુકશાનીનો રિપોર્ટ મંગાવ્‍યો

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે રવિ સીઝનના કેટલાક પાકોને નુકશાન થવાની સંભાવના છે. જેમાં સૌથી મોટો ખતરો એ જીરું અને કેરીના પાકને છે. વાદળછાયા વાતાવરણને પગલે પાકમાં રોગચાળો વધવાની સંભાવના છે. સારી બાબત એ છે કે સોમવારે ઉઘાડ નીકળ્યો હોવાથી ભેજનું પ્રમાણ ઘટશે તો ખેડૂતોને વધુ નુક્સાન નહીં જાય. શનિ અને રવિ એમ 2 દિવસ માવઠું થયું છે. કૃષિ તજજ્ઞોના મતે વિવિધ પાકોમાં પાંચ થી સાત ટકા હાનિ પહોંચી છે. ખાસ કરીને જીરૂં, ધાણા, ઘઉં, મકાઇ, વરિયાળી, એરંડા, મગ અને ચણાના પાક ઉત્પાદનને માઠી અસર થશે. ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં ગુજરાતમાં રવિ સિઝનમાં અત્યાર સુધીમાં 11.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.  એટલે કે ૯૯,૯૫ થયું છે જે પૈકી સૌથી વધુ ૧૨૫ ટકા વાવેતર બમ્પર તેલીબીયાં પાકોમાં થયું છે. રાજ્યમાં 12.92 લાખ હેક્ટરમાં ઘઉંનું તેમજ ૮.૦૭ લાખ હેક્ટરમાં કઠોળ પાકોનું વાવેતર થયું છે.

2 દિવસ દરમિયાન 8થી 28 મીમી મહત્તમ વરસાદ 20 તાલુકામાં પડ્યો છે. જે પૈકી 18 તાલુકા એ ઉત્તર ગુજરાતના છે. અને માત્ર 2 તાલુકા સુરેન્દ્રનગર જિલ્લાના છે. એકમાત્ર અમીરગઢ તાલુકામાં 2 દિવસ સતત વરસાદ રહ્યો છે. ઘંઉ, ચણા અને રાયડાના પાકમાં ભેજવાળા વાતાવરણને પગલે રોગચાળાનો પ્રશ્ન ઉભો થશે. યુરિયાનો વધુ પડતો વપરાશ કરનારા ખેડૂતોને ઘઉંનો ઉભો મોલ પવનને લીધે આડો પડી જવાની પણ દહેશત છે.

ગુજરાતમાં વરસાદ અને ભેજવાળા વાતાવરણને પગલે જે પાકોમાં નુકસાનનો અંદાજ છે. તેમાં જીરૂ ૨.૭૫ હેક્ટર અને ધાણા 2.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત ઇસબગુલ ૧૩૦૦૦ હેક્ટર, ટકા વરિયાળી ૫૧૦૦૦ હેક્ટર, શાકભાજી ૨.૦૨ લાખ હેક્ટર, બટાટા ૧.૩૧ લાખ હેક્ટર તેમજ ડુંગળી ૭૦ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. કૃષિ તજજ્ઞોના મતે આ પાકોમાં પાંચથી સાત ટકા નુકશાન થવાની સંભાવના છે.

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવાનું નક્કી કર્યું છે. હવામાનમાં પલટો આવતાં કેટલાક પાકોમાં જીવાતનો ઉપદ્રવ પણ વધી શકે છે. જો કે ઘઉંના પાકમાં ઠંડીની આવશ્યકતા છે. ઉત્તર ગુજરાતમાં રાયડાના પાકને નુકસાન થયાનું જણાય છે. પરંતુ હજી સુધી એ જાણી શકાયું નથી કે કેટલા હેક્ટરમાં ક્યા પાકને નુકસાન થયું છે.

કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, માવઠાં અને કમોસમી વરસાદના કારણે કઇ જગ્યાએ ક્યા ક્યા પાકને નુકસાન થયું છે તેનો રિપોર્ટ મેળવવામાં આવી રહ્યો છે. રવિ સિઝનમાં વાવણી અંતિમ તબક્કામાં છે. જ્યાં વાવણી થયેલી છે ત્યાં પાણી ભરાવાથી હાનિ થઇ શકે છે. માવઠાં અને કમોસમી વરસાદને કારણે આંબે આવેલા મોરને ભારે નુકસાન થયું છે જેના કારણે આ વર્ષે કેરીના પાકને અસર થાય તેવી શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત પાકોને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

તો આ તરફ માવઠાં અને વાદળછાયા હવામાન વચ્ચે કેરીના પાકને પણ જોખમ સર્જાવાની ભીતિ છે. વલસાડમાં બે દિવસથી વાદળછાયા હવામાન વચ્ચે ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરિંગના સમયે પાકને નુકસાન થવાની શક્યતા છે. જો હવામાન હજુ વાદળતાયું રહે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. જેનાથી ખેડૂતો ચિંતામાં છે.

માવઠાંને કારણે ઉત્તર ગુજરાતમાં શિયાળુ પાક સૌથી વધુ પ્રભાવિત થયો છે, જેને જોતાં હવે કૃષિ વિભાગે માવઠાગ્રસ્ત વિસ્તારોમાંથી શિયાળુ પાકોને નુકસાનનો રિપોર્ટ મંગાવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે જીરૂના પાકને સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાય છે. 2 લાખ 57 હજાર હેકટરમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. હવામાન સામાન્ય થયા બાદ તંત્રએ રિપોર્ટ મોકલવાનો રહેશે.

હાલ તો ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેમનાં પાકને માવઠાથી રાહત મળે, એવામાં કયા પાકને કેટલું નુકસાન થયું છે એ તો હવામાન સામાન્ય થયા બાદ જ સામે આવશે.

(8:06 pm IST)