Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કેરળમાં કહેર વરસાવનાર પશુઓના લમ્‍પી સ્‍ક્રિન ડીસીઝ રોગે ઝાલાવડમાં દેખા દેતા પશુપાલકોમાં ભારે ગભરાટઃ જ કે પશુપાલન ખાતુ આ રોગ વાયરલ હોવાનું કહે છે

એક પછી એક ગાયમાં રોગે દેખા દીધીઃ શરીરમાં ગુમડા થયા બાદ આ રોગ પ્રસરે છે

સુરેન્દ્રનગર: રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવાવેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવામાં કેરળમાં કહેર વરસાવનાર પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગે ઝાલાવાડમાં દેખા દીધી છે, પરંતુ જિલ્લાનું પશુપાલન ખાતુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યો છે. સુરેન્દ્રનગરથી ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગાયોમાં લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો જોવા મળતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. જિલ્લામાં રોગ આવ્યાને 1 મહિનામાં મોટી સંખ્યામાં ગાયો સંક્રમિત થઈ છે. હાલ સુરેન્દ્રનગરની એક પણ પશુ દવાખાનાઓમાં પશુ ડોક્ટર નથી. જિલ્લાના પશુ પાલકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે અહીં એક પછી ગાયમાં આ રોગના લક્ષણો જોવા મળી રહ્યા છે.

લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણોની વાત કરીએ તો ગાયને આ રોગમાં શરીર પર ગુમડા થાય છે, પરું નીકળે છે અને તેના પર માખી-મચ્છર બેસ્યા બાદ આ રોગ ફેલાઇ રહ્યો છે. આ રોગ થયા બાદ ગાયોનું દૂધ બંધ થઈ જાય છે અને ખોરાક પણ ઘટી જાય છે. અનેક ગૌ શાળાઓ અને તબેલાઓની ગાયોમાં લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો દેખાયા છે. ઉલ્લેખનિય છે કે ભારતના 15 રાજ્યોમાં વાઇરલ ડિસિઝ ફેલાયો છે.

એટલું જ નહીં, સુરેન્દ્રનગર સિવાય સૌરાષ્ટ્રના પશુઓમાં પણ લમ્પી સ્ક્રિન ડીસીઝ  રોગ દેખાયો છે. જેમાં ધ્રાંગધ્રા અને પાટડીમાં કેસ સામે આવ્યા છે. તથા રાજકોટના બેડી ગામમાંથી પશુના સેમ્પલ લેવાયા છે.

લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગના લક્ષણો

પશુઓમાં ઇજાના નિશાન જેવા ચકામાં પડે છે તથા પશુઓને ચાંદા પડવા, ફૂટવા, જીવાત પડવી, તાવ આવવો જેવા આ રોગનાં લક્ષણો છે. લમ્પી સ્કીન ડિસીઝ રોગની ઝપેટમાં 150થી વધુ પશુઓ આવ્યા છે. જિલ્લામાં 5 લાખથી વધુ પશુધન પર ખતરો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને દુધાળા ઢોર-ઢાંખરમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ ધ્યાને આવ્યો છે.

હજુ સુધી આ રોગની દવાની શોધ થઈ નથી

હજુ સુધી આ રોગની દવાની શોધ થઈ નથી. પરંતુ સામાન્ય રીતે દેવાતી સીન્ટોમેટીક દવાઓ પશુઓને આપવામાં આવતી હોય છે.

પશુઓને કોરન્ટાઈન કરી નાંખવા જોઈએ

આ રોગ જિલ્લામાં વધુ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી અને પશુઓની કાળજી કઈ રીતે રાખવી, તેની જાણકારી આપવી જોઈએ. આ અંગે નિષ્ણાતોના મતે જો પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ રોગ દેખાય તો તુરંત જે તે પશુને કોરન્ટાઈન કરી નાંખવા જોઈએ. પશુઓ જૂથમાં રહેતા હોવાથી તેનો ચેપ અન્ય પશુઓને તુરત લાગી જાય છે. આથી અન્ય પશુઓને આ રોગથી બચાવવા જે પશુ આ રોગનો શિકાર હોય તેને કોરન્ટાઈન કરી નાંખવા હિતાવહ છે.

(4:23 pm IST)