Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે -અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે

રાજકોટ તા.૩૦ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. 

આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. 

તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.

પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે. 

રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇ ની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે. 

આ વેબ પોર્ટલ લોન્ચીંગ વેળાએ મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, એ.આર.ટી.ડી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા, સંયુક્ત સચિવ શ્રી કે. રાજેશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

(3:16 pm IST)