Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

અમદાવાદના પાંજરાપોળ ખાતે BRTS અને બાઇક વચ્ચે થયેલા અકસ્‍માતના ઘેરા પડઘા પડ્યાઃ જનમાર્ગ લિમીટેડના ૮ અધિકારીઓની સામુહિક બદલી

અમદાવાદ : અમદાવાદના પાંજરાપોળ ખાતે થયેલા બીઆરટીએસ અને બાઇક વચ્ચેના અકસ્માત મામલાની અસર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગંભીર રીતે વર્તાઇ રહી છે. અકસ્માતની ઘટના બાદ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મામલાને પગલે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ ગત મોડીરાતે અમદાવાદ જનમાર્ગના લિમીટેડના 8 અધિકારીઓની સામુહિક બદલીનો આદેશ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં સોંપો પડી ગયો છે. આ બદલીના આદેશમાં જનપલ મેનેજરથી માંડી આસિસ્ટન્ટ મેનેજર કક્ષા સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે.

અકસ્માતમાં બે યુવકોના મોત અને તે બાદ સર્જાયેલા મોટા વિવાદને પગલે મ્યુનિસિપલ કમિશ્નરે અમદાવાદ જનમાર્ગના જનરલ મેનેજરથી લઇ આસિટન્ટ મેનેજર કક્ષાના 8 અધિકારીઓની સામુહિક બદલી કરી નાંખતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સન્નાટો વ્યાપી ગયો છે.

નોંધનીય છે કે બીઆરટીએસ સંચાલનને લઇને છેલ્લા કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યા છે અને તેની વચ્ચે અકસ્માતનમાં બેના મોત થતા મામલો વધુ ગરમાયો છે. ગત સપ્તાહે શહેરના પાંજરાપોળ ચારરસ્તા પર બીઆરટીએસ બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બેના મોતનો મામલો હજી પણ ગજી રહ્યો છે. આ વાતની અસર અમદાવાદ જનમાર્ગ લીમીટેડ એટલે કે બીઆરટીએસના અધિકારીઓ પર થઇ છે. હાલ તો કમિશ્નરે કરેલા બદલીના આ આદેશથી મ્યુનિસિપલ તંત્રમાં સોંપો પડી ગયો છે. ત્યારે જોવાનુ રહે છેકે બદલી કર્યા બાદ બીઆરટીએસના સંચાલનમાં કોઇ ફર્ક પડે છે કે નહી.

(4:17 pm IST)