Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯%નો વધારો

વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠક : વિડીયો કોન્ફરન્સ મારફત યોજાઇ : તલસ્પર્શી છણાવટ અને ચર્ચા-વિચારણા કરાઇ

રાજકોટ તા. ૩૦ :  ગુજરાત અને ભારતને વિશ્વસ્તરે વન્યપ્રાણી સૃષ્ટિમાં ગૌરવ અપવનારા ગિરના સાવજ એશિયાટીક લાયનની સંખ્યામાં ૨૯ ટકાનો વધારો થયો છે.

સિંહોની વસ્તી ૫૨૩થી વધીને ૬૭૪ થઇ છે. એટલું જ નહીં, ઘુડખરની વસ્તીમાં પણ ૩૭ ટકાની વૃધ્ધિ થવાથી અગાઉની ૪૪૦૩ ઘુડખરની સંખ્યા હવે ૬૦૮૨ થઇ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૯મી બેઠકમાં ગુજરાતની આ ગૌરવ સિદ્ઘિઓની વિગતો સૌ સભ્યોને આપવામાં આવી હતી.

વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા વન પર્યવારણના અધિક મુખ્ય સચિવશ્રી ડો.રાજીવ કુમાર ગુપ્તાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ ૧૯મી બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયની વન્ય સૃષ્ટિ, જંગલ વિભાગના વિવિધ કામોની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં વન્ય પ્રાણી સૃષ્ટિના જતન-સંવર્ધન અંગેની ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું કે, આ વર્ષે કચ્છના મોટા રણમાં ફલેમીંગોનું સામૂહિક નેસ્ટીંગ મોટા પ્રમાણમાં નોંધાયું છે. તેમજ ગ્રેટર અને લેસર ફલેમીંગોની વસાહત સ્થપાઇ છે અને ૧ લાખથી વધારે સંખ્યામાં બચ્ચાં જોવા મળ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે મુખ્યમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી વિશ્વની સૌથી ઝડપી જંગલ સફારી સરદાર ઝિઓલોજિકલ પાર્કના નિર્માણ દ્વારા દેશ-વિદેશના ૧૫૦૦થી વધુ પ્રાણી-પક્ષીઓ પાર્કમાં આકર્ષણ કેન્દ્ર બન્યા છે.

આ સમગ્ર વિષયે પણ તલસ્પર્શી છણાવટ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વન્યપાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૨૯ હેઠળ વિવિધ હેતુ માટે રક્ષિત વિસ્તારના ઉપયોગ માટે કેટલીક દરખાસ્તો માટે મંજૂરી આપવા આ બેઠકમાં ભલામણ કરવામાં આવેલી જેમાં ઓઇલ એન્ડ ફ્રુડ પાઇપલાઇન, ગેસ પાઇપલાઇન, ઇલેકિટ્રક લાઇન, રોડ ટ્રાન્સમીશન લાઇન અને ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઇકો સેન્સિટિવઝોનમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી. ગાંધીનગરની નેચરલ ગેસ પાઇપલાઇન પ્રોજેકટને મંજૂરી માટે ભલામણ કરવામાં આવેલી છે.

સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના નોમીનેટ સભ્યો દ્વારા કેટલાક અગત્યના સૂચનો કરવામાં આવ્યા હતા. તેમાં બૃહદ ગીરનો મેનેજમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવો, સ્ટાફની ભરતી કરવી, સિંહોના સ્વાસ્થ્ય માટે કાળજી લેવા તથા કેવડીયા ખાતે ખૂબ જ ટૂંકા ગાળામાં વૈવિધ્યસભર પ્રવાસન સ્થળે વન અને વન્યજીવનના સંર્વધન અને સંરક્ષણ સાથે વિકાસ કરવામાં આવેલો છે તેની પ્રશંસા કરવામાં આવી હતી.

(11:20 am IST)