Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજયમાં રાસ અને ગરબાના આયોજનો પાણીમાં ધોવાયા

નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકો ચિંતાતુર : રાજપથ, કર્ણાવતી કલબ સહિત શહેરમાં અનેક સ્થળોએ ગરબાના શરૂના આયોજનો રદ કરાયા : લાખોનુ નુકસાન

અમદાવાદ, તા.૨૯ : અમદાવાદમાં આજે સતત પાંચમા દિવસે પણ મેઘરાજાએ હળવાથી ભારે ઝાપટાં વરસાવવાનું ચાલુ રાખ્યું હતું, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તો, અમદાવાદ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારો અને પંથકોમાં પણ છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સતત મેઘમેહર જારી છે, જેના કારણે હવે ચોમાસાનો પાછોતરા વરસાદનો માહોલ વધુ પડતો હાવી બનતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં રાસ-ગરબાના આયોજનો વરસાદી પાણી વચ્ચે જાણે કે, ધોવાઇ ગયા છે. અમદાવાદમાં રાજપથ, કર્ણાવતી કલબ સહિત અનેક સ્થળોએ રાસ-ગરબાના પહેલા બે દિવસના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. બીજીબાજુ, નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકો ભારે નિરાશ અને હતાશામાં ગરકાવ બન્યા છે. ખાસ કરીને આયોજકોને તો, તેમના આયોજનો રદ થતાં લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

               વળી, હજુ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને લઇ નવરાત્રિના ખૈલેયાઓ અને આયોજકોની ચિંતા વધી છે. નવરાત્રિનું પર્વ ગુજરાતનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ મહત્વનું પર્વ મનાય છે અને ગુજરાતીઓ તેની ભારે ધાર્મિક આસ્થા અને રાસ-ગરબાની રમઝટ અને મોજ-મસ્તી સાથે ઝુમીને ઉજવણી કરતા હોય છે પરંતુ આ વખતે ટ્રાફિકના નવા આકરા નિયમો અને વરસાદનું બેવડું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ બની છે. ખાસ કરીને રાસ-ગરબાના સ્થળોએ પાર્કિંગ, સીસીટીવી સહિતના કેટલાક નિયમોના કારણે ઘણા આયોજકો રાસ-ગરબાની પરમીશન મેળવવામાં જ ઉણા ઉતર્યા તો, રહી સહી કસર વરસાદે પૂરી કરી નાંખી. રાજપથ, કર્ણાવતી સહિતની કલબો, પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસમાં વરસાદી પાણી ફરી વળતાં પહેલા બે દિવસ તો મોટાભાગના સ્થળોએ નવરાત્રિના રાસ-ગરબાના આયોજનો ખોરવાઇ ગયા છે. અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત એવી રાજપથ અને કર્ણાવતી કલબમાં તો, વરસાદને લઇ વણસેલી સ્થિતિના કારણે પહેલા બે નોરતાના રાસ-ગરબાના કાર્યક્રમ રદ કરવા પડયા છે. તો, શહેરના અન્ય સ્થળોએ પણ કંઇક આવી જ હાલત જોવા મળી રહી છે. રાજયના વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં પણ ખૈલેયાઓ અને આયોજકની આવી જ કફોડી હાલત બની છે.

             આજથી નવલા નોરતાંનો પ્રારંભ થયો છે ત્યારે હજુ પણ મેઘરાજાની અવિરત મેઘસવારી જારી રહેતાં અમદાવાદ સહિત રાજયના જુદા જુદા સ્થળોએ ભરાયેલા પાણી અને વરસી રહેલા વરસાદ વચ્ચે રાસ-ગરબાના મોટા-મોટા આયોજનો જાણે કે ધોવાઇ ગયા છે. તો, ગરબા આયોજકોને આ વખતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજીબાજુ, સતત વરસાદથી નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ અને ઉજવણીમાં ભંગ પડવાની સ્થિતિ બનતાં ખૈલેયાઓમાં પણ ભારે નિરાશા વ્યાપી ગઇ છે. સૌકોઇ મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરતાં જોવા મળી રહ્યા છે. હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાંક પાર્ટી પ્લોટોમાં ગરબા કેન્સલ થયાના સમાચાર મળી રહ્યા છે.

             આ સિવાય રાજ્યભરની એવી અનેક જગ્યાઓ અને સ્થળો છે, જ્યાં ભારે વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાઇ જવાના કારણે ગરબા કેન્સલ કરવાનો વારો આવ્યો છે. અમુક આયોજકોએ તો ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હોવાથી બે દિવસના ગરબા રદ કરવામાં આવ્યા છે. વરસાદના પગલે અનેક ગરબા આયોજકોએ પણ રાસ-ગરબાના કાર્યક્રમો રદ કરતાં ખૈલેયાઓ ભારે નિરાશામાં ગરકાવ બન્યા છે.  અમદાવાદની જેમ, વડોદરામાં કેટલીક જગ્યાએ ગરબા કેન્સલ થયાના અહેવાલ મળી રહ્યા છે. વડોદરાના કારેલીબાગના અંબાલાલ પાર્કના ગરબા જાણીતા છે, ત્યારે તેમણે પહેલા દિવસના ગરબા કેન્સલ કર્યા છે. તો, રાજકોટ, સુરતમાં પણ અનેક આયોજનો રદ થયા છે.

(9:02 pm IST)