Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતની યુર્નિમાં શિક્ષા મેળવે તે ઉદેશ્ય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટેબલેટ વિતરણ કાર્યક્રમ : ૨૦૨૨ સુધી ૧૦ હજાર વિદેશી વિદ્યાર્થી ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીમાં શિક્ષા દિક્ષા મેળવા તેવો હેતુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદ, તા. ૨૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વકક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને આંતર માળાખાકિય સવલતો ધરાવતી ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલિસીની  જાહેરાત કરી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા મહોત્સવનો પ્રારંભ અને ''નમો ઈ-ટેબલેટ''વિતરણ પ્રસંગે તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે,  ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ. પેટ્રોલિયમ યુનિવર્સિટી  નિરમા યુનિવર્સિટી જેવી  વિવિધ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓમાં હાલ ૨૦૦૦ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

       ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવાની નેમ સાથે વધુ વિદેશી વિદ્યાર્થીઓને રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં પણ ઉચ્ચ અભ્યાસ માટે વ્યાપક તક મળે અને પ્રવેશ  પ્રક્રિયા સહિતની  અન્ય  જરૂરી પ્રક્રિયાઓમાં પણ સરળતા રહે  દુવિધા ન પડે તે માટેના ચોક્કસ પગલાંઓ અને ધારા ધોરણો સાથે રાજ્ય સરકાર આ પ્રોત્સાહક પોલિસીને આગામી દિવસોમાં આખરી ઓપ આપવાની છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં આવા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ હજાર  સુધી લઈ જવા સાથે વિશ્વના દેશોના વધુ ને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતની ધરતી પર ઉચ્ચ શિક્ષા દીક્ષા માટે આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા છાત્રોને ''નમો ઈ-ટેબલેટ''નું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ ઉપસ્થિત યુવા છાત્રોને ઉત્સાહનો પાનો ચડાવતાં કહ્યું હતું કે, રાજ્યના યુવાનોએ વૈશ્વિક મંચ પર છવાઇ જવા માટે મચી પડવું જોઈએ.

(8:56 pm IST)