Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મેઘરાજા પધાર્યા : અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળ- વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત : ખેડૂતોમાં બંધાઈ આશા

એસ.પી રોડ, ઘાટલોડિયા- સરદારનગર, કુબેરનગર માં થયો વરસાદ

અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જન્માષ્ટમીના પ્રસંગે લગભગ સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરથી માંડીને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, ઘાડલોડિયા, વસ્ત્રાપુર તેમજ પૂર્વના નરોડા, નિકોલ, કૃષ્ણનગર, એસપી રિંગ રોડ, સરદારનગર, કુબેરનગર, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં મેઘ રાજાની એન્ટ્રી થતા લોકોને ઉકળા અને બફારાથી રાહત મળી છે.

હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સમી સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. ફરી આજે જન્માષ્ટમી ના દિવસે અચાનક વાતાવરણ પલટો આવતા અમીરગઢ ઇકબાલગઢ સહિતના પંથકમાં વરસાદી જપતા પડતા ખેડૂતોના મુરજાતાં પાકોને નવું જીવન મળવાની આશા જાગી હતી. દિવસભર ઉકળાટ અને બફારા બાદ સાંજના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ પણ રાહત અનુભવી હતી. જો કે મેઘરાજાએ જે પ્રમાણે મોડે મોડે પણ પધરામણી કરીને લોકોમાં ફરી એક આશા બંધાવી છે તે આશા નિષ્ફળ ન નીવડે અને સારો એવો વરસાદ થાય તેવી લોકો આશા કરી રહ્યાં છે.

(11:51 pm IST)