Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

નવસારી પંથકમાં કોરોના ટેસ્‍ટમાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો પોઝીટીવ આવતા ટેસ્‍ટ માટે લોકોની લાઇનો લાગી

જિલ્લા આરોગ્‍ય વિભાગે શાળા-કોલેજોમાં કોરોના સ્‍ક્રીનીંગ શરૂ કર્યુ

નવસારીઃ કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા આરોગ્‍ય વિભાગે 579 લોકોના ટેસ્‍ટ કરતા 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો પોઝીટીવ આવતા ટેસ્‍ટીંગ માટે લોકોની લાંબી લાઇનો લાગી સાથે શિક્ષણ વિભાગ કોરોના કેસને લઇ ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન કરવા આદેશ આપ્‍યા છે. જેથી આરોગ્‍ય તંત્ર હરકતમાં આવ્‍યુ છે.

 જિલ્લામાં કોરોના ફરી ફૂંફાડા મારી રહ્યો છે. થોડા દિવસોમાં જ કોરોનાએ અડધી સદી ફટકારી છે. જેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત થતા તંત્ર પણ સતર્ક થયુ છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા-કોલેજોમાં કોરોનાને લઈ વિદ્યાર્થી-શિક્ષકોનું સ્ક્રીનીંગ કરવા સાથે શાળાઓએ પણ કોરોના ગાઈડલાઈનનું કડકાઇથી પાલન શરૂ કર્યુ છે. એપ્રિલ, 2020 માં નવસારી જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ નવસારી ત્રણ ત્રણ લહેરમાંથી પસાર થયો છે.

છેલ્લા થોડા મહિનાઓથી જીવન કોરોનાથી રાહત અનુભવવા માંડ્યું અને લોકોની આર્થિક ગાડી પાટે ચઢી છે. ત્યારે ધીમે પગલે ફરી કોરોના વધી રહ્યો છે. જિલ્લામાં જૂનના પ્રારંભથી કોરોનાના કેસ જણાયા હતા, પરંતુ 13 જૂન બાદથી એટલે પખવાડિયામાં જ કોરોનાના કેસ વધીને 56 પર પહોંચ્યા છે. જેમાં શાળાઓના વિદ્યાર્થી કોરોના પોઝિટીવ આવતા શાળાઓ પણ કોરોનાને લઈ સતર્ક બની છે. શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સાથે જ દરેક વિદ્યાર્થી સેનેટાઇઝર રાખે તેમજ મોઢે માસ્ક પહેરે એની સૂચના આપવામાં આવી છે. શાળા સમય દરમિયાન ભીડ ન થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓ સાથે શિક્ષણ વિભાગે પણ જિલ્લાની તમામ શાળાઓને વધી રહેલા કોરોના કેસને જોતા કોરોના ગાઈડલાઈનનું ચુસ્તતા પૂર્વક પાલન કરવા આદેશ કર્યા છે.

કોરોનાના વધતા કેસને લઈ હરકતમાં આવેલા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શાળા-કોલેજોમાં કોરોના સ્ક્રીનીંગ આરંભ્યું છે. જેમાં પોઝિટીવ આવેલા વિદ્યાર્થીઓની શાળા-કોલેજમાં ગત એક મહિનામાં 35 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવા સાથે જ સંપર્કમાં આવેલા સહાધ્યાયીઓ, શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ મળી કુલ 579 લોકોના કોરોના ટેસ્ટ પણ કર્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો પોઝિટીવ જોવા મળતા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

જોકે સુખદ વાત એ છે કે હાલમાં આવતા કોરોના કેસ હળવા પ્રકારના છે અને દર્દી ત્રણથી ચાર દિવસમાં જ સાજો થતો હોવાની એવરેજ છે. જોકે લોકોએ કોરોના ગાઈડલાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સ, મોઢે માસ્ક પહેરે એની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. કોરોનાએ જીવનનો રંગ જ બદલી નાંખ્યો હતો અને લોકોને આર્થિક રીતે ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી કોરોનાના વધતા કેસ લોક જીવનને પોસાય એમ નથી. ત્યારે લોકો પોતે જ કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરે એ જ હિતાવહ છે.

(5:09 pm IST)